સુરેન્દ્રનગર : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના 4 પોલીસકર્મીઓને મળ્યા જામીન, દારૂ ભરેલા ટેન્કર ચાલકનું કર્યું હતું અપહરણ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીકથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ દારૂ ભરેલા ટેન્કર ચાલકનું અપહરણ કરી તેને રાજકોટ લઇ ગયા હતા. જોકે, આ મામલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારે હાલ તો લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ દેવાભાઇ જાદવભાઇ ધરજીયા, સુભાષભાઇ સોંડાભાઇ ઘોંઘારી, ઉપેન્દ્ર સિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજાએ સુરેન્દ્રનગરના સાયલા નજીકથી દારૂ ભરેલા ટેન્કર ચાલકનું અપહરણ કરી તેને રાજકોટ લઇ ગયા હતા.
આ મામલે ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં હાલ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા પોલીસ કર્મચારીઓને રૂપિયા 25 હજારના જામીન પર છુટકારા સાથે તેઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી. સાથ એજ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ચારેય પોલીસ કર્મચારીઓએ દર મહિનાની પહેલી તારીખે સંબંધિત પોલીસ મથકે હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમા કરાવવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં કોર્ટની મંજૂરી વગર ગુજરાત બહાર ન જવા પણ કોર્ટે ચારેય પોલીસ કર્મચારીઓને આદેશ કર્યો છે.