Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: અગરિયાઓના નામે ખોટા ઓળખકાર્ડ બનાવી ખરીદાયેલી સોલારો વાડીઓ અને ખેતરોમાં ધમધમી

હાલમાં બજારમાં રૂ. દોઢ લાખના ખર્ચે મળતી સોલાર અગરિયાઓને રૂ. 3.60 લાખમાં ધબેડાય છે અને એના પર સરકાર પાસેથી 80% સબસિડી લેવામાં આવતી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે

રણમાં મીઠું પકવતા અગરિયાઓને સોલારના નામે મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. અને અગરિયાઓના નામે ખરીદાયેલી સોલારો વાડીઓમાં ધમધમી રહી છે. જ્યારે હાલમાં બજારમાં રૂ. દોઢ લાખના ખર્ચે મળતી સોલાર અગરિયાઓને રૂ. 3.60 લાખમાં ધબેડાય છે અને એના પર સરકાર પાસેથી 80% સબસિડી લેવામાં આવતી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. અગરિયાઓના નામે ખોટા ઓળખકાર્ડ બનાવી આ આખુ કૌભાંડ આચરવામાં આવે છે.

રણકાંઠાના અંદાજે 2000 અગરિયા પરિવારો સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવવાનું કામ કરે છે. પહેલા અગરિયા સમુદાય ક્રુડ ઓઇલ કે ડીઝલથી એન્જીનો ચલાવી મીઠું પકવતા હતા. જેમાં એમનો મોટા ભાગનો ખર્ચ થઇ જતો હોવાથી વર્ષના અંતે અગરિયા પરિવારોને ચુકાવો વધતો નહોતો. આથી અગરિયો ઠેરનો ઠેર હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો હતો. પરંતુ ગુજરાત સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અને છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાય માટે મીઠું પકવવા 80% સબસિડી સાથેની સોલાર પેનલોની યોજના મુકતા વર્ષોથી 18મી સદીમાં જીવતા અગરિયાઓનું જીવન ધોરણ તો ઉંચુ તો આવ્યું હતુ. પણ રણમાં મીઠું પકવતા અગરિયાઓને સોલારના નામે મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. અને અગરિયાઓના નામે ખરીદાયેલી સોલારો વાડીઓમાં ધમધમી રહી છે. જ્યારે હાલમાં બજારમાં રૂ. દોઢ લાખના ખર્ચે મળતી સોલાર અગરિયાઓને રૂ. 3.60 લાખમાં ધબેડાય છે અને એના પર સરકાર પાસેથી 80% સબસિડી લેવામાં આવતી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. અગરિયાઓના નામે ખોટા ઓળખકાર્ડ બનાવી આ આખુ કૌભાંડ આચરવામાં આવે છે.

યાદ કરો આજથી 30 વરસ પહેલાંનો સમય જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.પણ પુરા પંદર હજારમા મળતુ હતું. લોકોને એટલી કિંમત આપી ખરીદવું પડતું હતું. અને માત્ર ચાર વર્ષમા તો એ ટી.વી.ની કિંમત ગગડીને સીધી 7 હજાર રૂપિયા કરતાય નીચે આવી ગઈ. આવું કેમ થયું ? ટી.વી.ની કિંમત નીચે આવી ગઈ તેમાં કશુંય નવાઈ પામવા જેવું નથી. ઇલેક્ટ્રોનિક વસ્તુ ચાહે મોબાઈલ હોય કે કોઈ પણ ઉપકરણ આવી વસ્તુઓ મોટાભાગે નવી બજારમાં આવે એટલે ખૂબ મોંઘી હોયને થોડા વખત પછી તેનું મોટી સંખ્યામાં ઉત્પાદન શરૂ થાય અને ભાવ ઘટતા જાય. છેલ્લે સાવ કોડીની કિંમતે પહોંચી જાય. આવું તો કેટલાય ઉપકરણો માં થયું છે. આવી જ વાત સોલર સિસ્ટમની છે. જ્યારે સોલર નીકળી ત્યારે ખૂબ મોંઘી હતી. આજે એ એક દમ સસ્તી થઈ ગઈ છે. કારણ કે તેમાં વપરાતા ફોટો સેલ પાણીના ભાવે મળતા થયા છે.

રણમાં મીઠું પકવતા અગરિયાઓને સોલરમાં સરકાર સબસિડી આપે છે. લગભગ 80 ટકા સબસિડી છે. એટલે અગરિયાઓએ માત્ર 20 ટકા જ ચૂકવવાના થાય છે. જો કે મળતી માહિતી પ્રમાણે રૂ. 360000મા એ સિસ્ટમ અગરિયાને આપવામાં આવે છે. જે સિસ્ટમ હાલ બજારમાં રૂ. 150000ની આસપાસ જોઈએ એટલી સરળતાથી મળે છે. સોલરના બજારમાં ભાવ ઘટ્યા પણ અગરિયાને અપાતી સોલરમા ભાવ જ ન ઘટ્યા ! આની સરકાર દ્વારા તટસ્થ તપાસ થવી જોઇએ

જીતેન્દ્રભાઇ રાઠોડ જણાવે છે. અગરિયાઓને સોલાર આપવામાં આવે ત્યારે સોલારનું કામ કરતા લોકો એ અગરિયા પાસેથી સોલારની કિંમતના 20% લેખે નાણા ઉઘરાવી લે છે અને બાકીની 80% સબસિડીની રકમ સરકાર દ્વારા અગરિયાના ખાતામાં જમા થાય એટલે એ લોકો અગરિયાઓ પાસેથી સહી કરેલા કોરા ચેક પહેલા જ લઇ લે છે. અને સબસિડીની રકમ અગરિયાના ખાતામાં જમા થાય એટલે એ લોકો ખાતામાંથી રકમ ઉપાડી મોટો નફો રળી લે છે. સરકારે સોલારના ભાવ 2017માં નક્કી કર્યા એ આજે 2021માં એ જ ભાવ છે. જ્યારે હકીકતમાં સોલારના ભાવમાં ધરખમ ઘટાડો આવ્યો છે.

રણમાં મીઠું પકવતા અગરિયાઓને કક્ષા- 1,2 અને 3 એમ ત્રણ પ્રકારની ચોપડીઓ આપવામાં આવે છે. જેમાં કક્ષા 1 એટલે રણમાં મીઠું પકવતા અગરિયાઓ કે જેમને જ સોલારની સબસિડીવાળી યોજનાનો લાભ મળવાપાત્ર છે. જ્યારે કક્ષા 2 અને 3ની ચોપડીમાં મીઠા કામદારો, રણમાં ટ્રકો દોડાવતા ડ્રાઇવર-ક્લીનરો સહિતના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. પણ હાલમાં ખીસ્સુ હળવુ કરો તો કક્ષા 2 અને 3ની ચોપડી કક્ષ‍ા 1ની ચોપડીમાં તબદીલ થઇ જાય છે. અને એમાય રણમાં મીઠું પકવતા સાચા અગરિયાઓની સંખ્યા સામે અનેક ગણી અગરિયા ચોપડીમાં હાલમાં ઉપલબ્ધ છે એની પણ તટસ્થ તપાસ થવી જોઇએ.

Next Story