Connect Gujarat
ગુજરાત

વલસાડ : ખાંડા ગામે વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળ ખેડૂતોને આંબા કલમોનું વિતરણ કરાયું

વલસાડ : ખાંડા ગામે વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળ ખેડૂતોને આંબા કલમોનું વિતરણ કરાયું
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ગામેથી આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળના ફળાઉ રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે આદિજાતિના ૬૪ ખેડૂતોને આંબા કલમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, આદિજાતિ વિસ્‍તારમાં આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઊંચુ આવે તે હેતુથી ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને આંબાના રોપા આપવામાં આવ્‍યા છે. જેના થકી લાભાર્થી પરિવારોની આર્થિક સ્‍થિતિમાં સુધારો થવાની સાથે આર્થિક અને સામાજીક ઉન્નતિ થશે. એટલું જ નહીં ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. રાજ્‍ય સરકારે ખેડૂતો માટે આવકના સોર્સ વધારી શકાય તેવી અનેક પ્રકારની અનેક યોજનાઓ અમલી બનાવી છે.

વાડી યોજનાના કારણે ખેડૂતોની આવકમાં અનેકગણો વધારો થતાંઓ આર્થિક રીતે પગભર બન્‍યા છે. સરકાર હંમેશા ખેડૂતના પડખે રહી હોવાનું જણાવી ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિના ખેડૂતો માટે અનેક પ્રકારની સહાય યોજનાઓ અમલી છે, તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગામેગામ પાકા રસ્‍તાનું નિર્માણ કરી પ્રજાજનોને આવનજાવન માટે સુવિધા ઉપલબ્‍ધ બનાવી છે. નલ સે જલ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દરેક ઘરમાં નળથી પાણી આપવાના પ્રયાસો રાજ્‍ય સરકાર કરી રહી છે. કુદરતી આપત્તિ વાવાઝોડામાં થયેલા નુકસાની સામે સરકારે વલસાડ જિલ્લાના ૧૪ હજાર ખેડૂતોને ૨૨ કરોડની સહાય આપી છે. મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વૃક્ષો આપણા જીવન સાથે સંકળાયેલા છે અને જીવનના અનેક પ્રસંગોમાં લાકડાની જરૂર પડે છે, ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલે જણાવ્‍યું હતું કે, આજે આપવામાં આવનારા આંબાના રોપા લાભાર્થી માટે આશીર્વાદરૂપ બની રહેશે. તેમણે લાભાર્થીઓને રાજ્‍ય સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે પ્રયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને યોજનાની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, આ યોજના હેઠળ આદિજાતિના ખેડૂતો કે જેઓ ૧૦થી ૨૦નો સ્‍કોર ધરાવતા બી.પી.એલ. ખેડૂત ખાતેદાર હોય, વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક અથવા આદિમજુથ હેઠળના જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને લાભ મળી શકે છે.

આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછામાં ઓછા ૧૦ ગુંઠા માટે કેરીના રોપા આપવામાં આવશે. ૧૦ ગુંઠા જમીન હોય તો ૨૦ રોપા, ૨૦ ગુંઠા જમીન હોય તો ૩૦ રોપા અને ૪૦ ગુંઠા જમીન હોય તો ૮૦ રોપા આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થીને જેટલા રોપા આપવામાં આવે તેની કુલ રકમના ૧૦ લેખે લોકફાળો લાભાર્થીએ આપવાનો રહેશે. વૃક્ષપ્રેમીએ વાવેલા વૃક્ષોની યોગ્‍ય જાળવણી કરી તે મોટા થાય ત્‍યાં સુધી જતન કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે ખાંડા ગામના સરપંચ મંજુલા ગાંવિત, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, અગ્રણી રામદાસ વરઠા, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્‍યો, સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Next Story