વસંતપંચમીએ ખીલી ઉઠી લગ્નસરાની મોસમ, દિવસભર યોજાશે લગ્નપ્રસંગો...
રાજ્યભરમાં આજરોજ વસંત પંચમીના શુભ અવસરે લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે આજે સરકારની ગાઈડલાઇન સાથે દિવસભર હજારો લગ્નપ્રસંગોને પાર પાડવા લોકોએ આયોજન ઘડી નાખ્યું છે.
વસંતપંચમીના દિવસને લગ્નપ્રસંગ માટે વણજોયું મુહૂર્ત માનવમાં આવે છે. રાજ્યમાં કોરોનાના કેસ અને લગ્નમાં 150 લોકોની મર્યાદાના કારણે લગ્નપ્રસંગો પર મોટી અસર પડી છે. જોકે, સરકારે નવી ગાઈડલાઈનમાં ખુલ્લામાં કરાયેલા લગ્નના આયોજન પર 300 લોકોને બોલાવવાની મંજૂરી આપી છે, ત્યારે આજે તા. 5મી ફેબ્રુઆરીના રોજ વસંતપંચમી નિમિત્તે 4 મહાનગર એવાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મળીને કુલ 7 હજાર લગ્નપ્રસંગ યોજાવા જઈ રહ્યા છે. આ ચારેય મોટા શહેરોમાંથી સૌથી વધુ અમદાવાદમાં જ 5 હજાર જેટલા લગ્નપ્રસંગ છે. સાથે જ વડોદરા શહેરમાં પણ લગભગ 300 લગ્ન યોજાશે. જોકે, નાઇટ કર્ફ્યૂને કારણે રાત્રે 10 વાગ્યે વરઘોડો કાઢી શકાય એમ ન હોવાથી આ તમામ લગ્ન દિવસે યોજાશે.
સામાન્ય દિવસોમાં રાજકોટમાં આ દિવસે 1500થી વધુ લગ્ન યોજાતાં હોય છે. પરંતુ આ વર્ષે આ દિવસે 1000થી 1200 આસપાસ લગ્ન યોજાય તેવો અંદાજ છે. તો સુરતમાં પણ આજે વસંત પંચમીએ 400 જેટલા લગ્ન યોજાશે. માત્ર લગ્નના દિવસ પૂરતી જ થોડીઘણી તૈયારી કરવામાં આવે છે. રિસેપ્શન, મહેંદી રસમ કે સંગીત સંધ્યાના કાર્યક્રમો નહિવત થઇ ગયા છે.