ગુજરાત રાજ્યના સૌ શ્રમિકોને યુ-વીન કાર્ડથી આવરી લઇ સરકારની યોજનાના લાભ સીધા જ હાથોહાથ પહોંચાડવા સરકાર પ્રતિબધ્ધ
મુખ્યમંત્રી આનંદીબહેને પટેલે રાજ્યના અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ શ્રમયોગીઓને યુ-વીન કાર્ડથી સાંકળી લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ યુ-વીન કાર્ડથી શ્રમિકોને સરકારની યોજનાના લાભ સીધા જ પહોંચાડી વચેટિયા નાબૂદી કાર્ડ બનશે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની આરોગ્ય, શિક્ષણ, શ્રમિક આવાસ સહાય જેવી કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ પ્રત્યેક શ્રમયોગીને આપવા આ યુ-વીન કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ સમાન બનશે. મુખ્યમંત્રીએ વિશ્વકર્મા જયંતિના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં યોજાયેલા શ્રમિક કલ્યાણ સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રમયોગીઓને પ્રેરક સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી આનંદીબહેને આ અવસરે રાજ્ય સરકારના શ્રમ પુરસ્કારો તહેત ૧૬ શ્રમયોગીઓને શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર, શ્રમશ્રી/શ્રમદેવી જેવા પારિતોષિકોથી સન્માનિત કર્યા હતા. અને તેમણે શ્રમિકોને સાધન-સહાય કીટ અને આવાસ સહાયના ચેક પણ અર્પણ કર્યા હતા.