દેશમાં 24 કલાકમાં કોરોનાના 9,974 કેસ સામે આવ્યા, ગઇકાલની સરખામણીએ 14.2 ટકા વધુ
દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 73 થઈ ગઈ છે. સૌથી વધારે 32 કેસ મહારાષ્ટ્રમાં છે.
કોરોનાનો નવો વેરિયન્ટ હવે ડરાવા લાગ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં ઓમિક્રોનના 12 નવા કેસ મળ્યા છે. દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 73 થઈ ગઈ છે. સૌથી વધારે 32 કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં જાન્યુઆરીમાં ઓમિક્રોનની લહેર આવવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. મુંબઈમાં આજથી 31 ડિસેમ્બર સુધી 144 કલમ લગાવી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ઘણાં નવા પ્રતિબંધ લગાવાવામાં આવ્યા છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ઓમિક્રોન ડેલ્ટા અને સૌથી જૂના કોવિડ-19 સ્ટ્રેનની સરખામણીએ 70 ગણો ઝડપથી ફેલાય છે.
જોકે તેમ છતાં તે એટલો જોખમી નથી. દક્ષિણ આફ્રિકાના ડોક્ટરોએ પણ ઓમિક્રોન વિશે પ્રાથમિક આવો જ દાવો કર્યો હતો.કેન્દ્ર સરકાર વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનેશન યોજનાની સમીક્ષા કરશે. સરકારે ડિસેમ્બરના અંત સુધીમાં જ દેશની 65% પુખ્ત વસતિને બંને ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારની સમીક્ષામાં બાળકોને વેક્સિન આપવા અને પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના કેસ ફરી ભયભીત કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય મુજબ ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 9,974 કેસ સામે આવ્યા છે. જે ગઇકાલની સરખામણીએ 14.2 ટકા વધુ છે. જ્યારે આ દરમિયાન 343 લોકોના મોત પણ થયા હતા, જે ગઇકાલના આંક કરતાં 96 વધારે છે. જો કે આ દરમિયાન 7,948 લોકો સાજા પણ થયા હતા.આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધીમાં 87,245 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,41,54,879 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક4,76, 478 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના કુલ 135 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.