ઉદયપુરમાં કન્હૈયાલાલની અંતિમ યાત્રામાં ભારે ભીડ એકઠી થઈ, દરેક જગ્યાએ કડક સુરક્ષા
ઉદયપુરમાં દરેક જગ્યાએ પોલીસ દળ તૈનાત છે, જ્યારે બાકીના રાજસ્થાનમાં પણ કડક તકેદારી રાખવામાં આવી રહી છે.
ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા બાદ રાજસ્થાનમાં તણાવ પ્રવર્તે છે. ઈન્ટરનેટ પ્રતિબંધ અને કલમ-144 વચ્ચે પોલીસ-પ્રશાસનનો સ્ટાફ સતત એલર્ટ મોડ પર છે. ઉદયપુરમાં દરેક જગ્યાએ પોલીસ દળ તૈનાત છે, જ્યારે બાકીના રાજસ્થાનમાં પણ કડક તકેદારી રાખવામાં આવી રહી છે. સીએમ અશોક ગેહલોત સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ ક્ષણે ક્ષણે રિપોર્ટ લેવામાં વ્યસ્ત છે.
ઉદયપુરમાં ઘાતકી હત્યાનો ભોગ બનેલા કન્હૈયાલાલની અંતિમયાત્રામાં લોકોની ભીડ હતી. સવારે પોસ્ટમોર્ટમ બાદ કન્હૈયાલાલના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી ધાર્મિક વિધિ પૂરી કરીને જ્યારે અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે તેમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ભીડના આક્રોશને જોતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ તેમની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. કન્હૈયાલાલની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર પર સવારી કરતા જોવા મળ્યા હતા.