ગુજરાત બાદ હવે ઉત્તરપ્રદેશનો આસારામ આશ્રમ પણ વિવાદમાં,5 દિવસથી ગુમ સગીરાનો મૃતદેહ આશ્રમમાંથી મળ્યો !
ઉત્તરપ્રદેશના ગોંડામાં આવેલા આસારામના આશ્રમમાંથી અલ્ટો કારમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે.
ઉત્તરપ્રદેશના ગોંડામાં આવેલા આસારામના આશ્રમમાંથી અલ્ટો કારમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે.જેની ઉંમર 13થી 14 વર્ષની આસપાસ હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, આ અંગેની માહિતી મળતા જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના કોતવાલી વિસ્તારના વિમૌરની છે. જ્યાં આસારામનો આશ્રમ આવેલો છે. આ સગીરા 5 એપ્રિલથી ગુમ હતી. ત્યારે 4 દિવસ બાદ એકાએક તેનો મૃતદેહ આસારામના આશ્રમમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ, કારમાંથી દુર્ગંધ આવતાં પોલીસને આ ઘટનાની જાણ કરાઇ હતી. ત્યાર બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામુ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, કારની અંદરથી દુર્ગંધ આવતાં આશ્રમના ચોકીદારે કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસ અને ફોરેન્સિકની ટીમ હાલમાં આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે. પોલીસે કાર સિવાય આખાય આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો પ્રયાસ હોવાનું જણાય છે. આસારામના આશ્રમમાંથી મૃતદેહ મળવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જણાવી દઈએ કે, 2008 માં ગુજરાતમાં આસારામના આશ્રમ 'ગુરુકુળ' માં રહસ્યમય સંજોગોમાં 2 લોકો ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ 5 જુલાઈના રોજ સાબરમતી નદીના કિનારેથી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતાં.