આંધ્રપ્રદેશ : CM જગન મોહનની નવી કેબિનેટ, 25 મંત્રીઓએ લીધા શપથ
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ સોમવારે રાજ્ય કેબિનેટનું પુનર્ગઠન કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ સોમવારે રાજ્ય કેબિનેટનું પુનર્ગઠન કર્યું, જેમાં 13 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા અને 11 લોકોને ફરીથી તક આપવામાં આવી. વરિષ્ઠ ધારાસભ્ય ધર્મના પ્રસાદ રાવને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ કેબિનેટમાં સામેલ કરાયેલા સૌથી વરિષ્ઠ મંત્રી છે. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને રાજધાની અમરાવતીમાં રાજ્ય સચિવાલય નજીક એક જાહેર સમારંભમાં મંત્રીમંડળના 25 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
કેબિનેટમાં આંધ્રપ્રદેશ વિધાન પરિષદમાંથી કોઈને સામેલ કરવામાં આવ્યા નથી. નવી કેબિનેટની રચના સંપૂર્ણપણે જાતિ અને સમુદાયના આધારે કરવામાં આવી છે, જેમાં 10 મંત્રીઓ પછાત વર્ગના છે. મુખ્યમંત્રી સહિત લઘુમતી સમુદાયમાંથી બે, પાંચ અનુસૂચિત જાતિ (SC) અને એક અનુસૂચિત જનજાતિ (ST)માંથી છે. કેબિનેટમાં રેડ્ડી અને કાપુ સમુદાયના ચાર-ચાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે. કેબિનેટમાં ચાર મહિલા સભ્યો છે જેમાંથી એકને બીજી તક આપવામાં આવી છે.