સુભાષ ચંદ્ર બોઝને મોદી સરકારનું વધુ એક સન્માન, પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેઓની જન્મ જયંતિથી શરૂ કરાશે
અત્યાર સુધી 24મી જાન્યુઆરીથી ઉજવણીની શરૂઆત થતી હતી પરંતુ હવેથી ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા હવેથી 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મજયંતીના દિવસથી જ ગણતંત્ર દિવસ સમારોહની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 24મી જાન્યુઆરીથી ઉજવણીની શરૂઆત થતી હતી પરંતુ હવેથી ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુભાષબાબુની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત મોદી સરકાર અગાઉથી કરી ચૂકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકારનો આ નિર્ણય ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી મોટી હસ્તીઓને યાદ કરવા માટે લેવામાં આવ્યો છે.નોંધનીય છે કે કેન્દ્રની ભાજપ સરકાર અગાઉ પણ ઘણી તારીખોને રાષ્ટ્રીય મહત્વના દિવસો તરીકે જાહેર કરી ચૂકી છે. જેમાં 14 ઓગસ્ટે વિભાજનને સ્મારક દિવસ તરીકે, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે, 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે અને 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે.