ગાંધીનગર : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, લેવાય શકે છે મોટા નિર્ણયો..!
આજે બુધવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં વિવિધ મુદ્દે મંથન તેમજ કોઈ મોટા નિર્ણયો લેવાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે, ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક મહત્વની ગણાશે. આ બેઠકમાં ગતરોજ લોકસભામાં નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ પર ચર્ચા કરવામાં આવશે, તેમજ આગામી દિવસોમાં રાજ્ય સરકારના આગામી બજેટ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા નિર્ણય લેવાય શકે છે. આ ઉપરાંત કિશન ભરવાડ હત્યા કેસ અંગે પણ ચર્ચાની શક્યતા વર્તાય રહી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબુમાં આવતી જાય છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 8338 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. જોકે, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2654 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરત શહેરમાં 257 કેસ તો રાજકોટ શહેરમાં 475 કેસ, વડોદરા શહેરમાં 1712 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 223 કેસ, ભાવનગર શહેરમાં 80 કેસ સામે આવ્યા છે, ત્યારે હવે આજની કેબિનેટ બેઠકમાં કોઈ મોટા નિર્ણયો લેવાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.