પી.એમ.મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 19,500 કરોડ જમા કરાવ્યા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવમા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નવમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવી દીધો છે. આ અગાઉ, વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હપ્તામાં 9.75 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં આજે 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને વર્ષે 6000 રૂપિયા 2000ના હપ્તામાં મળે છે. આ યોજનામાં દરેક હપ્તામાં એક ખેડૂતને 2000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે. મોદી સરકાર માને છે કે આ યોજનાથી ખેડૂત પરિવારો પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મેળવી શકે છે. ખેડૂતો પણ મોદી સરકારની આ યોજનાથી ખુશ જોવા મળે છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વેબસાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.