ગણતંત્રના દિવસ પર ભારતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં મેળવી જીત, કે એલ રાહુલ બન્યા મેન ઓફ ધ મેચ
જ્યારે ભારત દેશ 26 જાન્યુઆરીના રોજ દેશમાં 71માં ગણતંત્ર પર્વની ખુશી મનાવતો હતો, તે સમયે ભારતીય ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં જીત મેળવી દેશવાસીઓની ખુશીમાં બમણો વધારો કર્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઇકાલે ટી20 સીરિઝની બીજી મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ હતી જેમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. કે એલ રાહુલની ધમાકેદાર બેટિંગથી તે બન્યા મેન ઓફ ધ મેચ. આ ટી20 સીરિઝમાં ગણતંત્રના દિવસે ભારતીય ટીમે સતત બીજી વખત વિજય મેળવ્યો છે. આ પહેલા પણ ગયા વર્ષે 26 જાન્યુઆરી 2019ના રોજ ભારતે માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને ભારત પાંચ મેચની સીરિઝમાં 2-0થી આગળ છે. ભારતની જબરજસ્ત બોલિંગ અને ફિલ્ડિંગે ન્યૂઝીલેન્ડની ટીમને 132 રનમાં જ પેવેલિયન ભેગી કરી દીધી હતી. ટી20માં 132 રનનો સામાન્ય સ્કોર ભારતીય ટીમના ધમાકેદાર બેટ્સમેન શિવમ ડૂબેએ 17.3 ઓવરમાં છક્કો મારી પાર કર્યો હતો.