Connect Gujarat
ગુજરાત

જંબુસર : ભાવનગરથી દહેજ આવતાં એસઆરપી કમાન્ડોને રસ્તામાં મળ્યું મોત, વાંચો શું છે સમગ્ર ઘટના

જંબુસર : ભાવનગરથી દહેજ આવતાં એસઆરપી કમાન્ડોને રસ્તામાં મળ્યું મોત, વાંચો શું છે સમગ્ર ઘટના
X

જંબુસર તાલુકાના દેવકુઇ ગામ પાસેથી બાઇક પર પસાર થઇ રહેલાં દહેજ મરીન પોલીસ સ્ટેશનના બે એસઆરપી કમાન્ડોને ટ્રકના ચાલકે અડફેટમાં લીધાં હતાં. ગંભીર રીતે ઇજા પામેલાં એક કમાન્ડોનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. અકસ્માતના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ મરીન પોલીસ મથક ખાતે ભાવનગર જિલ્લાના રહેવાસી પિયુષ પંડયા તથા દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ કમાન્ડો તરીકે ફરજ બજાવે છે. લોકડાઉનમાં સતત ફરજ બજાવ્યાં બાદ તેઓ પોતાના વતનમાં ગયાં હતાં. વતનથી દહેજ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ફરજ પર હાજર થવા માટે પરત ફરી રહયાં હતાં. શનિવારના રોજ મળસ્કે સાડા ચાર વાગ્યા ના સુમારે તેઓ જંબુસરના દેવકુઇ ગામ નજીક થી પસાર થતાં હતા ત્યારે જંબુસર તરફથી પુરઝડપે આવતી ટ્રકના ચાલકે મોટરસાઇકલ ને અડફેટમાં લીધી હતી. ટ્રકની ટકકર વાગતાં બાઇક પર સવાર બંને કમાન્ડો રોડ પર ફંગોળાયા હતાં. જેમાં પિયુષ પંડયા ઉપર ટ્રકના પૈંડા ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. જયારે દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલને જમણાં પગે ઇજા થતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યાં છે. બનાવ સંદર્ભમાં જંબુસર પોલીસે અજાણ્યા ટ્રકના ડ્રાયવર સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story