જામનગર : બાલા હનુમાન સકીર્તન મંદિરમાં 56 વર્ષથી ચાલતી અખંડ રામધુન
જામનગરમા તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા પહેલી ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ રામધૂનનો પ્રારંભ કરાયો હતો. જે રામધુન અવિરત ચાલુ છે અને આ અખંડ રામધુને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મંદિરમાં ચાલતી રામધુનને આજે શનિવારના રોજ 56 વર્ષ પુર્ણ થયાં છે. હાલ કોરોનાની મહામારીને કારણે 57મા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી છે. શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા આજે ૧ ઓગસ્ટ થી ૮ ઓગષ્ટ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર સદંતર બંધ રાખવામાં આવ્યું છે.
જોકે પાંચ રામ ભક્તો દ્વારા મંદિર પરિસરમાં અખંડ રામધુનના જાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યા છે, જ્યારે મંદિરના પૂજારીઓ દ્વારા આરતી કરવામાં આવી રહી છે. શ્રધ્ધાળુઓ મંદીરના દ્વારની બહારથી હનુમાન દાદાના દર્શન કરી રહયાં છે.