જુનાગઢ : સીટી રાઇડ બસ બની મોતની રાઇડ, બસ પલટી જતાં 7 મુસાફરોના મોત
જુનાગઢના
વિસાવદર પાસે આવેલાં લાલપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની સીટી રાઇડ બસ પલટી મારી જતાં
સાત લોકોના મોત નીપજયાં છે જયારે 20થી વધારે મુસાફરોને ઇજા થતાં તેમને
સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
જુનાગઢ સહિત
રાજયના અન્ય શહેરોમાં દોડતી ખાનગી ટ્રાવેલ્સ બસોમાં આરટીઓના નિયમોનું પાલન થતું ન
હોવાથી તેઓ મોતની સવારી બની ચુકી છે. શનિવારે બપોરના સમયે જુનાગઢના વિસાવદર પાસે
ખાનગી બસ પલટી જતાં સાત મુસાફરોને જીવ ગુમાવી દેવાનો વારો આવ્યો છે. સાવરકુંડલાથી
મુસાફરોને બેસાડીને જુનાગઢ તરફ આવી રહેલી સીટી રાઇડ બસ લાલપુર ગામ પાસે પલટી મારી
ગઇ હતી. બસ પલટી જતાં મુસાફરો બસ નીચે દબાઇ ગયાં હતાં. આસપાસથી દોડી આવેલાં લોકોએ
બચાવ અને રાહત કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ગંભીર ઇજાના પગલે ચાર મુસાફરોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો જયારે બે મહિલા સહીત
અન્ય ત્રણ મુસાફરોએ સારવાર દરમિયાન જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં
ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ દોડી ગયાં હતાં. પલટી મારી ગયેલી સીટી રાઇડ બસમાં
ક્ષમતા કરતાં પણ વધારે 50 જેટલા
મુસાફરોને બેસાડવામાં આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે.