કરજણ: વલણ ગામે બેંક ઓફ મહારાષ્ટ્રમાં ATMની અસુવિધાથી ખાતેદારો પરેશાન
પંદર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું વલણ ગામ હોવા છતાં એ ટી એમની સુવિધા ઉપલબ્ધ નથી
પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં અસુવિધાઓથી ખાતેદારો હાલાકી ભોગવી રહ્યા છે. વડોદરા જિલ્લાના સૌથી મોટા ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં એ.ટી.એમની સુવિધા ન હોઇ ખાતેદારો પરેશાની ભોગવી રહ્યા છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર વલણ શાખાના મેનેજર સુદેશ કુમાર પાસવાને આ સંદર્ભે જણાવ્યું હતું કે, એ ટી એમ સુવિધા માટે મુખ્ય કાર્યાલય સાથે રજુઆત થઇ છે. ટુંક સમયમાં એ ટી એમ સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે કરજણ તાલુકા પંચાયતના સદસ્ય સીરાજભાઇ ઇખરીયાએ જણાવ્યું હતું કે, એ ટી એમની સુવિધાના અભાવે ખાતેદારોને નોટબંધી ટાણે પારાવાર હાડમારી ભોગવવી પડી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે દેથાણ જેવા નાના ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં એ ટી એમ સુવિધા પ્રાપ્ત થઇ શકતી હોય તો પંદર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા વલણ ગામને એ ટી એમની સુવિધા કેમ મળતી નથી.
આ બાબતે વડોદરા જિલ્લા સમાહર્તાને પણ આવેદનપત્ર આપી રજુઆત કરાઇ છે. જો વલણ ગામની બેંક ઓફ મહારાષ્ટ્ર શાકામાં એ ટી એમ મશીનની સુવિધા પ્રાપ્ત નહીં કરાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ગામલોકો અને ખાતેદારોએ ઉચ્ચારી હતી.