ખેડા : વડતાલ ધામમાં નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રાપ્ત કરી દીક્ષા
ખેડા જિલ્લાના વડતાલ ધામમાં
આચાર્ય પક્ષ છોડી દેવ પક્ષમાં આવેલા નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદોએ આચાર્ય રાકેશ પ્રસાદના હસ્તે
દીક્ષા પ્રાપ્ત કરી હતી. જેમાં 55 પૈકી 30 પાર્ષદો અંગ્રેજી
અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન છે. પાર્ષદોની સંત દિક્ષા દરમ્યાન મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ભક્તો હાજર રહ્યા હતા.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજે વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આચાર્ય પક્ષ છોડી દેવ પક્ષમાં આવતા સરધાર મંદિરના સંત નિત્યસ્વરૂપ
સ્વામીના 35 અંગ્રેજી અને
સંસ્કૃતના વિદ સહિત કુલ 55 પાર્ષદોને આચાર્ય
રાકેશ પ્રસાદના હસ્તે ભગવા ધારણ કરી સંત તરીકે દીક્ષા લીધી હતી.
થોડા દિવસ અગાઉ જ આચાર્ય પક્ષ છોડી 17 વર્ષ બાદ દેવ પક્ષમાં પરત પોતાના મંડળના સંતો અને પાર્ષદો સાથે
સંત નિત્યસ્વરૂપ સ્વામી જોડાયા હતા. આચાર્ય રાકેશ
પ્રસાદને ગાદીપતિ બન્યાના આજે 17 વર્ષ પૂર્ણ થતાં
પોતાના અંગ્રેજી અને સંસ્કૃતના પ્રખર વિદ 35 પાર્ષદો સહિત 65 જેટલા પાર્ષદો સંત તરીકે દીક્ષા લેશે તેવી
જાહેરાત કરી હતી. જે બાદ આજે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી કર્યા બાદ નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદોને આચાર્ય રાકેશ પ્રસાદ દ્વારા
શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવિત સહિત કંઠી અને ભગવા વસ્ત્રો પહેરાવી સંત તરીકે દીક્ષા આપી હતી. જેમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ
સ્વામી અને કોઠારી સંત સ્વામી સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.