કચ્છ : નાગલપોરની ગૌશાળામાં ઘાસચારો આરોગ્યા બાદ 30 ગૌમાતાના મોત

કચ્છના અંજાર તાલુકાના નાની અને મોટી નાગલપર ગામની પંચાયતો દ્વારા સંયુક્ત રીતે ચલાવાતી ગૌશાળામાં ઘાસચારો આરોગવાથી અત્યારસુધીમાં 30 ગાયોના મોત નીપજ્યાં છે.જ્યારે 95 ગાયોને બચાવી લેવાઈ છે.મૃતક ગાયો અને ઘાસચારાના નમુના લઇને અમદાવાદની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે.
નાગલપર ગામની ગૌશાળામાં ઘાસચારો આરોગ્યા બાદ 30 જેટલી ગૌમાતાના મોત થતાં દોડધામ મચી ગઇ છે. ગત સાંજે પાંચેક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગૌશાળામાં હાલ 300 જેટલી રખડતી-ભટકતી ગાયોને આશ્રય અપાયેલો છે. સાંજે લીલો ઘાસચારો ખાધા બાદ એકાએક 30 ગાયોની તબિયત લથડી હતી અને ટપોટપ મોતને ભેટવા માંડી હતી. બનાવ અંગે જાણ થતાં જીવદયાપ્રેમીઓ અને ગ્રામજનો ગૌશાળા દોડી ગયાં હતા અને ગાયોને બચાવવા કવાયત હાથ ધરી હતી.વેટરનરી તબીબની છ ટુકડીઓએ સ્થળ પર 95 ગાયોની સારવાર કરી બચાવી લીધી હતી.પવિત્ર શ્રાવણ માસમાં આ બનાવ બનતાં જીવદયાપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.સેવાભાવી લોકો ઘાસચારો અને ભીંડા આપી ગયા હતા મૃતક ગાયો તથા તેમને આપવામાં આવેલા આહારના નમુના લઇ તેને તપાસ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.