કચ્છ : ગુજરાતની પ્રથમ નંદિશાળા છે અંજાર ખાતે, ભવિષ્યમાં “નંદી મંદિર” બનાવી કરાશે નંદીની પૂજા
રાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળ તો સંખ્યાબધ છે. પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી, ત્યારે ગુજરાતની પ્રથમ નંદિશાળા જે કચ્છના અંજારમાં આવેલી છે. અહીં હાલમાં 400 નંદીઓનો નિભાવ કરવામાં આવે છે. ઉપરાંત નજીકના દિવસોમાં આ સ્થળે નંદી મંદિર બનાવાશે જ્યાં એક નંદીને રાખીને તેની પૂજા કરવામાં આવશે.
કચ્છ જિલ્લાના અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે સંવેદના ગ્રુપના સહયોગથી નંદિશાળા શરૂ કરી છે. ગત વર્ષે નંદ મહોત્સવના દિવસે આ નંદીશાળા શરૂ કરવામાં આવી હતી. જેને 10 મહિના પૂર્ણ થયા છે. ખાસ તો અહીં 100 જેટલા વાછરડાઓ આશ્રય લઈ રહ્યા છે. જેમાં કુલ 400 જેટલા નંદીઓની અહી સંભાળ લેવામાં આવે છે. શીક્ષિત વર્ગના 25થી 30 ગોવાળિયા દરરોજ અહીં આવી નંદીની સારવાર સાથે સંભાળ રાખે છે.
મહંત ત્રિકમદાસજી મહારાજે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નંદી એ ભગવાન શિવનું વાહન છે. પરંતુ લોકો તેનો તિરસ્કાર કરતા હોય છે, જેથી અમે નંદીઓનો નિભાવ કરવા અહીં નંદી શાળા બનાવવામાં આવી છે, ત્યારે ભવિષ્યમાં અહીં નંદી મંદિર બનાવી તેમાં નંદીની પૂજા કરવામાં પણ આવનાર છે.