મહાશિવરાત્રીએ શિવભક્તો બન્યાં શિવમય
મહાદેવનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ. આજે મહાશિવરાત્રીના પાવન અવસરે રાજ્યના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોના મહેરામણથી છલકાઈ ગયા છે.
જીવના શિવ સાથેના મિલનનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રી નિમિતે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. આજના દિવસે સંતો અને ભક્તોના સંગમથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. રાજ્યમાં ઠેરઠેર શિવાલયોમાં વિશેષ પૂજન-અર્ચન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન માટે પણ વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી છે તો આજે રાત્રે 12 વાગ્યે મહાઆરતી પણ યોજાનાર છે. આજે સોમનાથ સતત હરહર મહાદેવના નાદથી ગૂંજશે.
ભરુચ અને અંકલેશ્વરમાં આવેલા શિવાલયોમાં પણ ભક્તોની ભીડ જામી હતી. ભોળાનાથ શંભુને બીલીપત્ર અને દૂઘથી અભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
આજે ભોલેના ભક્તો ભોલેને પ્રસન્ન કરવા માટે વ્રત અને ઉપવાસ રાખીને પુજા અને આરાધના કરે છે.