નર્મદા :જનતા કરફ્યુના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવાએ પરિવાર સાથે વિતાવ્યો સમય, નાના બાળકો સાથે રમ્યા કેરમ
કોરોના વાયરસના પગલે સમગ્ર વિશ્વની પ્રજા ભયભીત છે. કોરોના વાયરસને પહોચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ માટે જનતા કરફ્યુ જાહેર છે, ત્યારે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા આહવાનને પગલે ભરૂચ મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પરિવાર સાથે સમગ્ર દિવસ પસાર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તા. 22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે, ત્યારે જનતા કરફ્યુને પગલે ગુજરાત ભાજપના ભરૂચ મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે સમગ્ર દિવસ પસાર કર્યો હતો. મનસુખ વસાવાએ પોતાના પરિવારના નાના બાળકો સાથે કેરમ રમી આનંદ અનુભવ્યો હતો. પરિવારના બાળકો કેવો અભ્યાસ કરે છે, એમને અભ્યાસમાં કોઈ તકલીફ તો નથી પડતી તે સહીત માહિતી મેળવી હતી. ઉપરાંત મનસુખ વસાવાએ પરિવારના બાળકોને શિક્ષણ પણ આપ્યું હતું. પરિવારના અન્ય સભ્યોના ધંધા-રોજગાર બાબતે પણ ચર્ચાઓ કરી હતી.
ભાજપના ભરૂચ મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, જનતા કરફ્યુના સમર્થમમાં સમગ્ર દિવસ હું મારા પરિવાર સાથે પસાર કરીશ. વહેલી સવારે સૂર્યનારાયણ દેવની પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરી છે. જ્યારે આખું વિશ્વ આજે કોરોના વાયરસ મામલે ભયભીત છે, ત્યારે નરેન્દ્ર મોદીનો આ ક્રાંતિકારી વિચાર દેશ લોકોના હિત માટે ખૂબ સફળ સાબિત થઈ રહ્યો છે.