મધ્યપ્રદેશ: બસ 22 ફૂટ ઊંડી કેનાલમાં ખાબકી 54 પૈકી 42 મુસાફરોના મોત
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યાર સુધીમાં 42 મૃતદેહ મળી આવ્યા છે. 6 લોકોનો બચાવ થયો હતો. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યા 45થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ સામે આવી છે.બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી.
રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાના ચાર કલાક બાદ સવારે 11.45 વાગ્યે બસ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.કેનાલની ઊંડાઈ 20 થી 22 ફૂટ હોવાનું જણાવાયું છે. જે ક્ષણે અકસ્માત થયો તે સમયે પાણીનો પ્રવાહ ઝડપી હતો, તેથી મુસાફરોને સાંભળવાની તક જ મળી ન હતી. મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ હતા. આ બધા જ રેલ્વેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ 32 લોકોને બસમાં બેસાડી શકાય તેમ હતા, પરંતુ તેમાં 54 મુસાફરો ભરવામાં આવ્યા હતા. બસને સીધર રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાંખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું.