નડીઆદ: હત્યાના દોષીને ‘આજીવન કેદ’ની સજા, સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામે જૂન-૨૦૧૬માં થયેલ હત્યા પ્રકરણમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે.
બનાવની વિગત અનુસાર જૂન ૨૦૧૬માં રામપુર ખાતે કરિયાણાનો
વ્યવસાય કરતા ચિરાગ વાઘરીએ 10 વર્ષની નાની દીકરી જ્યારે તેલ લેવા ગઈ
હતી તેને ચીમટી ખની હેરાન કરી હતી. દીકરીએ તેની માતાને સમગ્ર બાબતે જાણ કરતાં
દીકરીની માતાએ ચિરાગ સાથે ઝઘડો કર્યો હતો. જે દરમિયાન ગામના ભલાભાઇ વાઘરીએ વચ્ચે પડી
ચિરાગને ઠપકો આપતાં ચિરાગે ભલાભાઇના માથામાં ધારીયું મારી તેમની હત્યા કરી નાખી
હતી. હત્યા કર્યા બાદ ચિરાગ ઘરમાં છૂપાઈ ગયો હતો. દરમિયાન આસપાસના પાડોશીએ તેને
ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતાં તેણે અન્ય બે પાડોશી ઉપર પણ ચપ્પુથી હુમલો કર્યો
હતો. બનાવ સંદર્ભમાં વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચિરાગની ધરપકડ કરી
હતી. હત્યાનો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસની સુનાવણી થતાં
સરકારી વકીલ ધવલ બારોટએ દલીલો કરી હતી. તેમની દલીલોના આધારે ૧૯ જેટલા સાક્ષીઓ
તપાસવામાં આવ્યા હતા અને ૨૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ
સાક્ષી અને પુરાવાના આધારે સેશન્સ જજ એમ. ડી. પારડીવાલાએ આરોપી ચિરાગને આજીવન
કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.