Connect Gujarat
ગુજરાત

નડિયાદ: ૩ માળનો ફ્લેટ ધરાશાયી થતાં ૧૦ થી વધુ દટાયાની સંભાવના, બચાવ કામગીરી શરૂ

નડિયાદ: ૩ માળનો ફ્લેટ ધરાશાયી થતાં ૧૦ થી વધુ દટાયાની સંભાવના, બચાવ કામગીરી શરૂ
X

નડિયાદમાં આવેલા પ્રગતિનગરમાં ત્રણ માળનો એક આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં ફ્લેટમાં રહેતા લોકો દટાઈ ગયાની આશંકા સેવાઇ રહી છે.જોકે ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ રવાના થઈ ગઈ છે. હાલ બચાવની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્રણ માળના ફ્લેટમાં પાંચ પરિવાર રહેતા હતા અને આ ઘટનામાં ૧૦ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. હાલમા તો પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તાત્કાલિક ધોરણે જેસીબી મશીનથી મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ આ અંગે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેમને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ફાયરબ્રિગેડ, જેસીબી અને પોલીસ તંત્રની ટીમને લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતે જ કાટમાળમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં દવાખાને સારવાર અર્થે મોકલી આપ્યા છે. હજુ બીજા ૧૦ જેટલા લોકો દબાયેલા છે.

જેસીબીથી કાટમાળ ખસેડવામાં દટાયેલા લોકોને નુકસાન પહોંચે તેવી સંભાવના છે. લોકો કઈ જગ્યાએ દટાયેલા છે તેની હાલ તંત્રને કોઈ જાણ નથી, જેથી બચાવ કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. બચાવ કાર્ય માટે અમદાવાદ અને વડોદરાથી વધુ ટીમો બોલાવાઈ છે. જેસીબીથી કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન કાટમાળ વધુને વધુ નીચે ખસતો જતો હોવાના કારણે હાલ પુરતી બચાવ કામગીરી અટકાવી દેવાઈ છે. હાલ તો બચાવની કામગીરી શરૂ થવામાં વધુ સમય લાગે એમ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રગતિનગરમાં ૧૦ જેટલા ફ્લેટ છે અને તે ૨૦ વર્ષ જૂના છે. જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા હોવાના કારણે અહીં રહેતા લોકોને તંત્ર દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી હતી. ભારે વરસાદના કારણે આ ફ્લેટના પાયા જમીનમાં ઉતરી જતાં આ ફ્લેટ ધરાશાયી થયો.

Next Story