નર્મદા : રાજપીપળાની શાળા વિધાર્થીઓએ કરી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી, 100% મતદાન માટે કરાઇ અપીલ
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરની નવદુર્ગા હાઈસ્કૂલના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યભરમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ નવદુર્ગા હાઈસ્કૂલના વિધાર્થીઓ દ્વારા પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્થાનિકોને પ્લેકાર્ડ આપી મતદાન અંગે જનજાગૃતિ ફેલાવી હતી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને દેશની તમામ ચૂંટણીઓમાં 100 ટકા મતદાન થાય તે હેતુથી લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે મતદાન અંગે લોકોમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો અચૂક મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી હતી. જોકે રાજ્યમાં શહેરથી લઈ ગામડાઓમાં પણ આ પ્રકારના જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તો 100 ટકા મતદાન થાય તેવી વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી.