નર્મદા: રાજપીપળા ખાતે ભાજપનું સંમેલન યોજાયું, BTP-AIMIM પર સી.આર.પાટિલના પ્રહાર
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં રોડ શો અને સંમેલન યોજાયું હતું. જેમાં તેઓએ બીટીપી અને એ.આઈ.એમ.આઈ.એમ. પર પ્રહાર કર્યા હતા.
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજપીપળાના માર્ગો પર જંગી રેલી સાથે રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન રાજમાર્ગો પર ભાજપના આગેવાનો અને શહેરીજનોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. રાજપીપળાના જીન કંપાઉન્ડમાં સી.આર.પાટીલ નિયત સમય કરતાં લગભગ 2 કલાક મોડા પહોંચ્યા હતા. સ્વાગત બાદ સી.આર.પાટીલે જંગી મેદનીને સંબોધનની શરૂઆત કરી હતી.
બિટીપી એઆઈએમઆઈએમના ગઠબંધન મુદ્દે અને અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં જાહેરસભા સંબોધી હતી. તે મુદ્દે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે એ આંધળા બેહરાનું ગઠબંધન છે. હૈદ્રાબાદમાં આગામી સમયમાં ભાજપનો મેયર હશે અને અસદુદ્દીન ઓવૈશી રઘવાયા થઈ ઘર ભેગો થઈ જશે. કોંગ્રેસ બિટીપીએ વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું છે જેથી લોકોના મનમાં છેતરાયાનો ભાવ છે. હવે એ દુષણ હટાવવાનો સમય આવી ગયો છે. છોટુભાઈ ઘણું થયું હવે બીજાને પણ ચાન્સ આપો, આવનારી વિધાનસભામાં છોટુભાઈ વસાવાનું અસ્તિત્વ નહિ રહે તેવું તેઓએ નિવેદન આપ્યું હતું.