નર્મદા : હવે જળમાર્ગે પણ નિહાળી શકાશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, જાણો શું છે નવું આકર્ષણ..!
નર્મદા જિલ્લામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ખૂબ પ્રચલિત થઈ છે, ત્યારે પ્રવાસીઓ માટે અહી અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પ્રવાસીઓ જળમાર્ગે ફરી શકે તે માટે ક્રુઝ બોટનું વધુ એક આકર્ષણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 1 વર્ષમાં 40 લાખથી વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. સરકાર દ્વારા અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ નિર્માણ પામી રહ્યું છે.
અમેરીકામાં ક્રુઝ દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આજુબાજુ ફરી શકાય છે, તેમ હવે કેવડિયા પાસે બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ ક્રુઝ બોટ મારફતે જળમાર્ગે ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી શકાય તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રુઝ બોટમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકશે. જેની ટિકિટ પણ 250થી 300 રૂપિયા રાખવામાં આવી છે. જે ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમિના અંતરમાં ચલાવવામાં આવશે. જેમાં રાત્રી દરમ્યાન આદિવાસી નૃત્ય સાથે ગીત-સંગીત પણ હશે. ઉપરાંત ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે નાસ્તા અને જમવાની પણ સુવિધા રહશે. જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને ભરપૂર આનંદ મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.