નવસારી : અમદાવાદની જેલમાં થયેલી દુશ્મનીનો આવ્યો કરૂણ અંજામ, પોલીસ દબોચે તે પહેલા જ આરોપીની હત્યા
ખોટી આદત અને ખોટી સંગતમાં થતા ગુન્હાઓનો અંજામ હંમેશા કરુણ આવતો હોય છે, ત્યારે અમદાવાદમાં અનેક ગંભીર ગુન્હામાં સંડોવાયેલા ઈસમનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ નવસારીના ચિખલીમાંથી મળી આવવાના મામલે કહાનીમાં કઈક નવો જ વણાંક બહાર આવ્યો છે.
અમદાવાદ શહેરમાં અનેક ગંભીર ગુન્હાઓમાં તરખડાટ મચાવનાર અને અન્ય શહેરો માટે પણ માથાનો દુ:ખાવો બનનાર રીઢો આરોપી ચિંતન શાહ અમદાવાદની જેલમાં કેદ હતો. જોકે આરોપી ચિંતન શાહ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ ફરી તે પાછો જેલનું મોઢું જોવા ન માંગતા ફરાર થયો હતો. જેની દુશ્મની મોટાભાગના લોકો સાથે હોવાથી આરોપી ચિંતન શાહનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. જોકે ચિંતન શાહ પર ધરપકડ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યો હતો, ત્યારે ચિંતન શાહને પોલીસ દબોચે એ પહેલા જ કોઇએ તેના રામ રમાડી દીધા હતા.
અમદાવાદ SOG પોલીસને નવસારીના ચીખલી તરફ આરોપી ભાગ્યા હોવાની બાતમી મળી હતી. તે દિશામાં તપાસ કરતા પોલીસના હાથે મહત્વની કડી સાગર પટેલ હાથે લાગતાં સત્ય બહાર આવ્યું હતું. અમદાવાદ SOG પોલીસે ચીખલીના માણેકપોર નજીક આવેલ મેમુના હોટલ પાછળ હત્યા કરીને ચિંતન શાહને દફન કર્યાની વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેમાં આરોપી સાગર પટેલ, વિજયસિંગ ઠાકુર અને અબ્દુલએ મળી ચિંતન શાહની હત્યા કરી જમીનમાં દફનાવી દીધો હતો, ત્યારે હાલ પોલીસના હાથે ઝડપાયેલા સાગર પટેલની વધુ પૂછપરછ શરૂ કરવામાં આઈ છે. ઉપરાંત અન્ય બે રીઢા આરોપીઓને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.