પંચમહાલ : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈશીએ ગોધરામાં યોજી હતી જાહેર સભા..!
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈશીએ જાહેર સભાને સંબોધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIMએ પોતાના પક્ષમાંથી 8 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે ઉમેદવારોના પ્રચાર માટે અસદુદ્દીન ઓવૈશીએ જંગી જાહેર સભા યોજી હતી.
પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકાની ચૂંટણી જીતવા AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈશીએ ગત રાત્રિના ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારના અલઅમીન પાર્ક ખાતે જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગોધરા શહેરમાં એક જ વિસ્તારનો વિકાસ થયો છે. ગોધરામાં ઉર્દૂ ભાષાની ફકત 3 જ શાળાઓ છે. ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ ગોધરાને બદલે દાહોદમાં અપાયા છે.
અમદાવાદમા AIMIM પાર્ટીના ઉમેદવારની જીત બદલ અસદુદ્દીન ઓવૈશીએ મતદારોનો આભાર માન્યો હતો. તો સાથે જ પોતાની પાર્ટીના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે જ અસદુદ્દીન ઓવૈશીએ ખેડૂત આંદોલન, ટ્રીપલ તલાક જેવા અનેક મુદ્દાઓ ઉઠાવી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. વર્ષ 2002 બાદ ગોધરામાં કોઈ કરફ્યુ થયો નથી, તેમ છતાં સરકારે અહીં અશાંતધારાને લાગુ કરી છે. ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારોને જીતાડવા તેઓએ ગોધરાવાસીઓને આહવાન કર્યુ હતું.