PNB કૌભાંડ મામલે સુરત કોર્ટ દ્વારા નિરવ મોદી સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ
નીરવ મોદીએ 4.93 કરોડ ના ડાયમંડને રૂપિયા 93.70 કરોડના દર્શાવી ફ્રોડ કર્યો હોવાની થઈ હતી ફરિયાદ
PNB કૌભાંડ મામલે સુરત કોર્ટે નિરવ મોદી સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. ચીફ જ્યુડિ.મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા વોરન્ટ ઈસ્યુ કરાયું છે. સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે નીરવ મોદીએ 4.93 કરોડ ના ડાયમંડને રૂપિયા 93.70 કરોડના દર્શાવ્યા હતા. દુબઈ - કેનેડામાં હલકી કક્ષાની જવેલરી ઓવેરવેલ્યુએશન કરી ફ્રોડ કર્યું હોવાનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. .
પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા ૧૧ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચરનાર નીરવ મોદીએ વર્ષ 2014-15 માં તેની સુરત સ્થિત રાધાશ્રી જવેલરી કંપની, ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને ફાયર સ્ટાર સ્ટોન ઇન્ટરનેશનલ લિમિટેડ નામની કંપની મારફતે વિદેશથી હીરા અને મોતી ઈમ્પોર્ટ કરી જવેલરી પ્રોસેસ કરી એક્સપોર્ટ કરતો હતો. નીરવે વિદેશથી સારી ગુણવત્તાના હીરા-મોતી મંગાવી પ્રોસેસ કરી ફરી એક્સપોર્ટ કરવાના હતા. પરંતુ નીરવે તે હીરા-મોતીના બદલે હલકી ગુણવત્તાના પાર્સલો જવેલરી તરીકે પોતાની ત્રણેય કંપની મારફતે દુબઇ, હોંગકોંગ, યુએસએ અને કેનેડા રવાના કરવાની તૈયારી કરી હતી. આ અંગે ડીઆરઆઈને જાણ થતાં મુંબઇ પોર્ટ પર તેના તમામ પાર્સલો અટકાવવામાં આવ્યા હતા.
ડીઆરઆઈની તપાસમાં હોંગકોંગ અને દુબઇ મોકલવાના માલમાં આંકવામાં આવેલી કિંમત કરતા માલની કિંમત ઓછી હોવાનું બહાર આવ્યું હતું. ડીઆરઆઈ દ્વારા તેનો રૂ. 90 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જોકે તેની ખરી કિંમત રૂપિયા 5 કરોડ જેટલી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ડીઆઈઆર દ્વારા નીરવ અને તેની ત્રણેય કંપની પાસેથી રૂ. 12.63 કરોડ ડ્યુટી ચોરીના, રૂ. 1.89 કરોડ પેનલ્ટી અને રૂ. 1.34 કરોડ વ્યાજ વસુલવામાં આવ્યું હતું. જોકે કયા મામલે નીરવ મોદી વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવતા આ બાબતે સરકારી વકીલ નયન સુખડવાળા એ માહિતી આપી હતી.
સરકારી વકીલ નયન સુખડવાળાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, એસઈઝેડમાં નીરવ મોદીની કંપનીઓ રાધાશ્રી જવેલરી પ્રા.લી.32.56/1.14 , ફાયર સ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રા.લિ. 33.55/1.20, ફાયર સ્ટાર સ્ટોન ઇન્ટરનેશનલ લિ. 40.76/1.49 જવેલરી તથા ડાયમંડની ઉંચી કિંમત દર્શાવી વિદેશ એક્સપોર્ટ થનાર માલનું કૌભાંડ ડીઆઈઆરએ પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે નીરવ અને તેની કંપનીને ડ્યુટી ચોરી, પેનલ્ટી અને ઇન્ટરેસ્ટની રકમ પૈકી રૂ.15 કરોડથી વધુ રકમ જમા કરાવી દીધી હતી. જ્યારે નીરવ મોદી વિરુદ્ધ કટ-135 હેઠળ ડીઆઈઆર દ્વારા ગુનો નોંધાવવામાં આવ્યો છે.