પોર નજીકના સલાડ ગામની આંગણવાડી જર્જરિત : બાળકોની હાલત કફોડી
બાળકોને ઝેરી જાનવરોની પણ ભીતિ
વડોદરા જિલ્લાના પોર નજીક અંદાજિત ૭ કિમીના અંતરે સલાડ ગામમાં શિશુઓ માટે આવેલી આંગણવાડી જર્જરિત હાલતમાં થઇ જતા બાળકો હાડમારી ભોગવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સલાડ ગામની આંગણવાડીમાં ગામના આશરે ૪૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. અને આ આંગણવાડી જર્જરિત હોવાના કારણે આંગણવાડીના બાળકોને રાજીવ ગાંધી હોલમાં બેસવાનો વારો આવ્યો છે. આંગણવાડીની આસપાસ ઝાડી ઝાંખળા પણ ઉગી નીકળ્યા હોઇ ઝેરી જાનવરોની પણ ભીતિ લોકો સેવી રહ્યા છે.
[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="પોર નજીકના સલાડ ગામની આંગણવાડી જર્જરિત : બાળકોની હાલત કફોડી" ids="65895,65896,65897"]
આ બાબતે આંગણવાડીના સંચાલિકાને પૂછતા તેઓએ જણાવ્યું હતું. કે જુની આંગણવાડી જર્જરિત બનતા બાળકોને સલાડ ગામના રાજીવ ગાંધી હોલમાં છેલ્લાં બે માસથી બેસાડવા પડી રહ્યા છે અને સલાડ ગ્રામ પંચાયતમાં નવી આંગણવાડી બનાવવા માટે પંચાયતને ઠરાવ કરવાને આશરે દોઢ એક માસથી મંજુરી માટે મોકલવામાં આવેલ છે. સંબંધિતો દ્વારા આંગણવાડીના સમારકામ માટે તકેદારી રાખવામાં આવેલ નથી.
તંત્રને ખાલી બાળકોના ભવિષ્ય સાથે તમાશા જોવામાં રસ હોઇ એમ પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. તો સંબંધિત ખાતા દ્વારા સલાડ ગામની જર્જરિત અવસ્થામાં થઇ ગયેલી આંગણવાડીનું તાકિદે સમારકામ હાથ ધરી આંગણવાડી કેન્દ્રનો લાભ લેતા બાળકોની હાડમારી દુર કરાય એવી લોકમાંગ ઉઠવા પામી છે અથવા નવી આંગણવાડીનું નિર્માણ કરાય એવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ બાબતે સલાડ ગામના સરપંચનો કાર્યભાર સંભાળનાર કાન્તિભાઈ રાઠોડિયાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે મહિનાથી જૂની આંગણવાડી જર્જરિત છે તેટલા માટે અમે આંગણવાડીના બાળકોને રાજીવગાંધી હોલમાં બેસાડીને અભ્યાસ કરાવાય રહ્યો છે અને નવી આંગણવાડીનો ઠરાવ પણ પંચાયતમાંથી કરીને મોકલી આપેલ છે.