રાજકોટ : 676 લોકો કવોરન્ટાઇન કરાયાં, ટહેલવા નીકળેલા નબીરાઓને ભણાવાયા પાઠ
કોરોના વાયરસના પગલે રાજકોટ સહિત 6 જિલ્લાઓને લોકડાઉન કરી દેવાયાં છે ત્યારે રાજકોટમાં ટહેલવા નીકળેલા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યાં હતાં. બીજી તરફ ગોંડલમાં જીવનજરૂરીયાતની વસ્તુઓ સિવાયની અન્ય દુકાનોને વહીવટીતંત્રએ બંધ કરાવી હતી.
રાજકોટમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરી દેવાયું છે.રાજકોટમાં અત્યાર સુધી વિદેશથી પરત આવેલા 676 જેટલા લોકોને પોતાના પરિવારજનો સાથે જ કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ લોકોના મકાનોની બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે. આ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. મહા નગર પાલિકાના સત્તાધીશો અને પ્રોવિઝન સ્ટોર્સના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. જેમાં દુકાન સંચાલકોએ ઓર્ડર પ્રમાણે ફ્રી હોમ ડીલીવરી આપવાની તૈયારી બતાવી છે.
રાજકોટમાં 25મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાતની સાથે કલમ -144 લાગુ કરવામાં આવી છે. રવિવારે જનતા કરફયુ બાદ સોમવારના રોજ લોકો રાબેતા મુજબ શહેરમાં જોવા મળ્યાં હતાં. દુુકાનો તથા વ્યવસાયના સ્થળો ચાલુ રહેતાં પોલીસ એકશનમાં આવી હતી. ઘરોની બહાર ફરવા નીકળેલા નબીરાઓને ઝડપી પાડી તેમને જાહેરમાં ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. પોલીસની વિવિધ ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
હવે વાત કરવામાં આવે ગોંડલ શહેરની… ગોંડલમાં પણ લોકડાઉન અમલમાં હોવાથી જીવન જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ કરતી સિવાય અન્ય દુકાનોને બંધ રાખવાની હોય છે. ગોંડલના બજારમાં કેટલીક અન્ય દુકાનો ખુલ્લી જોવા મળતાં મામલતદાર તથા તેમની ટીમે સ્થળ પર પહોંચી વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરાવી હતી.