રાજકોટ : ૧૭માં ઠાકોર સાહેબ માંધાતા સિંહજીનો થશે રાજ્યાભિષેક, દરેક સમાજના લોકોને પધારવા ભાવભર્યું નિમંત્રણ
ભારતના ખ્યાતનામ રજવાડાઓમાં રાજકોટના રજવાડાનું ખૂબ જ આગવું સ્થાન છે. રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા દેહવિલાપ થતાં રાજવી પરંપરા મુજબ તેમના પુત્ર માંધાતા સિંહ જાડેજા રાજવી તરીકે બિરાજમાન થશે.
આગામી તારીખ 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભિષેક કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે ખાસ કરીને દેશના રાજવી પરિવારો ને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે . તો રાજકીય મહાનુભાવો, આર્થિક જગત ના મહાનુભાવો અને ધર્મગુરુઓ પણ આ રાજ્યાભિષેક કાર્યક્રમોમાં હાજરી આપશે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યાભિષેક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.
રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ત્રણ દિવસના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય કાર્યક્રમોની વાત કરવામાં આવે તો, 28 તારીખના બપોર પછી રાજકોટ શહેરની નગરયાત્રા માંધાતા સિંહ જાડેજા અને યુવરાજ રામરાજા કરશે. તેમની સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાશે પરંપરાગત પોશાકમાં ક્ષત્રિય સમાજના લોકો અન્ય સમાજના લોકો અને દેશના રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે .આ નગર યાત્રામાં વિન્ટેજ કાર, હાથી ઘોડા અને બેન્ટવાજા શોભા વધારશે. 28 તારીખના રોજ સવારમાં ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ ત્રણ હજાર કરતાં વધુ બહેનો એકસાથે તલવારબાજી કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.
29 તારીખના રોજ સાંજે 7 હજાર દીવડાઓ પ્રગટાવીને રાજકોટ સ્ટેટનો મોનોગ્રામ બનાવવામાં આવશે. 30 તારીખના રોજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ માધાતાસિંહ જાડેજાનું રાજ્યભિષેક કરવામાં આવશે.
સૌરાષ્ટ્રનું એક મહત્વનું રજવાડું એટલે રાજકોટ. રાજકોટના રાજકારણનું દેશમાં આગવું સ્થાન છે. તે જ રીતે રાજકોટના રાજવી પરિવારનું પણ દેશના રાજવી પરિવારોમાં એક આગવું સ્થાન છે . ત્યારે રાજવી પરિવારની ઐતિહાસિક રાજતિલક કાર્યક્રમનું રાજપરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ પરિવારો વિશે આજની યુવા પેઢીને જાણવા અને સમજવા માટેનો ઐતિહાસિક અવસર છે. આગામી 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ દરેક સમાજના લોકોને ભાવ ભર્યું આમંત્રણ આપ્યું છે.