રાજકોટ : મહાનગરપાલિકાએ 147 જર્જરીત મકાનોને નોટીસ પાઠવી જવાબદારીમાંથી ખંખેર્યા હાથ
દર વર્ષે ચોમાસામાં જર્જરિત મકાનો પડતા દુર્ઘટના ઘટતી હોઈ છે. તો સાથે જ દર ચોમાસા પહેલા મહાપાલિકા અને નગરપાલિકા જર્જરિત ઇમારતોનો સર્વે પણ કરાવતી હોઈ છે. જે બાદ નોટિસ આપી યોગ્ય કાર્યવાહી પણ કરતી હોઇ છે. ત્યારે તાજેતરમાં જ મનપાના અધિકારીઓએ નોટિસ આપી માત્ર કાગળ ઉપર જ કાર્યવહી કર્યાનું સામે આવ્યું છે, ત્યારે જુઓ આ અંગે અમારો આ ખાસ રિપોર્ટ
રાજકોટના જૂના વિસ્તારોમાં અનેક મકાનો અને ઈમારતો જર્જરિત હાલતમાં ઢળી પડવાની કગાર ઉપર ઉભી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત 147 જર્જરિત મિલકતોમાં રહેતા લોકોને ગત એપ્રીલ માસમાં નોટિસ આપવામાં આવી હતી. જેમાં મકાન માલિકે જર્જરિત મકાનનું રીપેરીંગ કરવું અથવા મકાન તોડી પાડવું તેવું જણાવેલ હતું. તેમ છતાં નોટીસની મુદત પૂર્ણ થયા બાદ મનપાના બાંધકામ વિભાગે રી-સર્વેની કામગીરી કાગળ ઉપર કરી નાખી હોવાનું સામે આવ્યું છે, ત્યારે માત્ર કાગળ ઉપર કામગીરી કરી નાખતા 100થી વધુ મિલકતોમાં રહેતા પરિવારો મોતના ભય હેઠળ જીવી રહ્યા છે.
મનપાના બાંધકામ વિભાગની નબળી કામગીરીના કારણે ગત માસે શ્રીનાથજી સોસાયટીમાં જર્જરિત મકાન ધરાશાઈ થતા વૃધ્ધ દંપતિને ઈજા પહોંચી હતી. ત્યારે ગુંદાવાડી, પરાબજાર, સોનીબજાર, ધર્મેન્દ્રરોડ, લાખાજીરાજ રોડ, જુનુ જાગન્નાથ સહિતના વિસ્તારોમાં અનેક મકાનો અને ઈમારતો જર્જરિત હાલતમાં ઉભી છે અને આ પ્રકારના મકાનોમાં અનેક પરિવારો વસવાટ કરી રહયા છે ત્યારે ભારે વરસાદના પગલે આ પ્રકારના અનેક મકાનો ઢળી પડશે તેવું નજરે જોઇ શકાય છે, છતાં ઓફિસમાં બેસી ચોપડામાં સર્વેની કામગીરી બતાવતી બાંધકામ શાખાના અધિકારીઓ આંખે પાંટા બાંધીને બેઠા છે અને દર વખતની માફક કોઇ મોટી દુર્ઘટના સર્જાય અને ઝુંબેશ શરૂ કરાય તેની રાહ જોઇ રહ્યા છે. આમ રાજકોટના અનેક પરિવારો ઉપર મોત ઝળુંબી રહ્યું છે અને તંત્ર તમાશો જોઇ રહ્યું છે.