રાજકોટ : પતિ પૈસા કમાવવા ગયો દુબઇ પણ પત્ની અને પુત્રની હાલત જોઇ તમારૂ હદય દ્રવી ઉઠશે
રાજકોટ શહેરમાં એક જ મકાનમાં બે વર્ષથી કેદ રહેલાં માતા અને પુત્રને સેવાભાવી સંસ્થાએ મુકત કરાવ્યાં છે. મહિલાનો પતિ દુબઇ ચાલ્યો ગયા બાદ માતા અને પુત્ર દયનીય હાલતમાં જીવન વ્યતિત કરી રહયાં હતાં. ઘરમાં રહીને મહિલાનું વજન 200 કીલોની આસપાસ થઇ ગયું હતું.
રાજકોટના ગાંધીગ્રામના વેલનાથ ચોક પાસે આવેલા ગોવિંદ નગર શેરી નંબર 2 માં સરલાબેન કાંતિભાઈ પ્રજાપતિ પોતાના 13 વર્ષના પુત્ર સાથે રહે છે. સરલા બહેનનો પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈમાં વસવાટ કરે છે. ત્યારે બે વર્ષ પૂર્વે સરલાબેનનું સારણ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રમશઃ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને તેના પરિણામે તેઓ શૌચક્રિયા પણ પથારીમાં જ કરતા હતા.
સરલાબહેન આ પ્રકારે પોતાના જ ઘરમાં રહી એકલવાયું જેવું જીવન જીવે છે તેની જાણ સોસાયટીના રહેવાસીઓએ અભ્યમની ટીમને કરી હતી. બનાવની જાણ થતાંની સાથે શ્રી શક્તિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને 181ની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાને ઘરમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સાથે જ મહિલાના ૧૩ વર્ષીય પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવાની તમામ જવાબદારી હાલ સામાજિક સંસ્થાએ ઉપાડી છે. મહિલાની સારવાર પૂર્ણ થયા બાદ સામાજિક સંસ્થા દ્વારા વધુ વિગત એકત્ર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘરમાં પથારીવશ રહેવાના કારણે મહિલાનું વજન 200 કીલોની આસપાસ થઇ ગયું હતું.