Connect Gujarat
વાનગીઓ 

ગરમ મસાલાઓનું સેવન કરો છો, તો જાણો તેના ફાયદાઓ અને નુકસાન

દરેક ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના શાક અને ડિશની સુગંધ અને સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

ગરમ મસાલાઓનું સેવન કરો છો, તો જાણો તેના ફાયદાઓ અને નુકસાન
X

દરેક ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના શાક અને ડિશની સુગંધ અને સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તે આખા મસાલાઓ હોય કે પાઉડર હોય. પરંતુ શું તમે જાણો છો કે ગરમ મસાલાઓ સુગંધ અને સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદાઓ પણ આપે છે. જો તમે નથી જાણતા તો આજે અમે તમને ગરમ મસાલાઓ ખાવાથી શરીરમાં શું ફાયદો થાય છે તેના વિશે જણાવશું. આપને જણાવી દઇએ કે અમુક ખાસ પરિસ્થિતીઓમાં આ મસાલાઓનું સેવન ફાયદાઓની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ ગરમ મસાલાઓના ફાયદાઓ અને નુકસાન વિશે.

ચોમાસાની ઋતુમાં શરદી-ઉધરસ થવા સામાન્ય બાબત છે. તેની સારવાર માટે અંગ્રેજી દવાઓની જગ્યાએ આપણા રસોડામાં રહેલા ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો. તમે લવિંગ, મરી અને તજનો ઉપયોગ કરી ઉકાળો બનાવી કે ચામાં નાખીને પી શકો છો. આ સાથે જ કોથમીર જેમાં પ્રચૂર માત્રામાં ઝિંક હોય છે, તેની મદદથી પણ તમે શરદી-ખાંસીની સમસ્યાથી દૂર રહી શકો છો.

ચોમાસામાં વરસતા વરસાદનો આનંદ માણવા લોકો ભજીયા, પકોડા, ભટૂરા, પાપડ, ઘેવર જેવી તળેલી વસ્તુઓનું સેવન વધુ કરે છે. એવામાં પાચન સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. તમે આ સમસ્યાને દૂર કરવા માટે ગરમ મસાલાઓનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા ફાઇબર તમારા સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બનશે. તમે તેના માટે ભોજનમાં ગરમ મસાલાઓનો ઉપયોગ કરી શકો છો. તે કબજીયાતની સમસ્યાથી પણ તમને છૂટકારો અપાવશે.

ગરમ મસાલામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ રહેલા છે, જેના કારણે તે દુ:ખાવો અને સોજા જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ બને છે. તેનાથી શરીરમાં રહેલ જૂના દુખાવામાં પણ રાહત મળે છે. પેટનો સોજો ઓછો કરવા માટે ગરમ મસાલાઓનો ઉપયોગ કરી શકાય છે.

ગરમ મસાલાઓ ડાયાબિટીસની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. ગરમ મસાલામાં જીરાનો પણ સમાવેશ થાય છે. જે એક સક્રિય એન્ટી-ડાયાબિટિક એજન્ટ છે. તે ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવાનું કામ કરે છે.

સામાન્ય રીતે ગરમ મસાલાઓ અસંખ્ય ફાયદાઓ ધરાવે છે. પરંતુ અમુક ખાસ પરિસ્થિતિઓમાં તે નુકસાન પણ પહોંચાડી શકે છે. હકીકતમાં ગરમ મસાલાઓની તાસીર ખૂબ ગરમ હોય છે. જેનો વધુ અને સતત ઉપયોગ કરવાથી તમને પાઇલ્સ, છાતીમાં બળતરા, એસિડિટી, પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેથી તેનું વધુ અને નિયમિત સેવન કરવાથી બચવું જોઇએ.

Next Story