પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાન કરવાનું મહત્વ
પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. આ મહિનામાં શિવજીની પૂજા સાથે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. શિવ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં દાન કરવાથી દરેક પ્રકારના સુખ, વૈભવ અને પુણ્ય મળે છે.અને જાણ્યે-અજાણ્યે કરેલાં પાપમાંથી મુક્તિ મળી છે.
શ્રાવણ મહિનામાં કોઇપણ વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહિનામાં રૂદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળનો રસ અને આંબળાનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે કરેલાં પાપ નષ્ટ થાય છે. સાથે જ, આ મહિનામાં વૃક્ષ વાવવાથી પિતૃ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે.
શ્રાવણ મહિનામાં શિવજીનો અભિષેક, શિવપુરાણ કથા વાંચવી-સાંભળવી અને મંત્રજાપ સિવાય દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં ચાંદીના સિક્કા દાન આપવાથી અથવા ચાંદીના બનેલાં નાગ-નાગણની મૂર્તિઓ શિવલિંગ ઉપર ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. શિવલાયોમાં વૈદિક બ્રાહ્મણને રૂદ્રાક્ષ માળાનું દાન કરવાથી સુખ વધે છે.
શ્રાવણ મહિનામાં દરરોજ દીપદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. દીપ એેટલે જ્ઞાન-પ્રકાશ. પ્રકાશ ફેલાવવાની પ્રેરણા દીપ પૂજનમાં છે. જેનો અર્થ થાય છે કે, વ્યક્તિએ વિદ્યા દાનના ક્ષેત્રમાં પણ ઉતરવું જોઇએ, જેથી શિવજીની કૃપા મળી શકે. શ્રાવણ મહિનામાં બીલીપાન, શમીપાન અને આંબળાના છોડ વાવવા પણ દાન બરાબર છે.