ભરૂચ : સેન્સેકસ 3 હજાર કરતાં વધારે પોઇન્ટ તુટતાં રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ
વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર હવે શેર બજારમાં જોવા મળી રહી છે. ગુરૂવારે સેન્સેકસ 3 હજાર પોઇન્ટ કરતાં વધારે તુટી જતાં રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું છે.
કોરોના વાયરસના પગલે સેન્સસેકસમાં સતત ઘટાડો થઇ રહયો છે. ગુરૂવારના રોજ બપોરના સમયે તે 3164.99 અંક સુધી ઘટ્યો હતો.સેન્સેક્સમાં 2186 કંપનીઓના શેરમાં ઘટાડો છે અને 175 કંપનીઓના શેરમાં વધારો છે. 1,106 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. 500 કંપનીઓના શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. બજાર તેજીમાંથી નીચે આવતા રોકાણકારોના શેરની વેલ્યુ લગભગ 8 લાખ કરોડ ઓછી થઈ છે. સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર વિદેશી રોકાણકારોએ 3,515.38 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતાં. અંકલેશ્વરના શેરબજારના તજજ્ઞ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોટી મંદી વર્તાઇ રહી છે. સેન્સસેકસ નીચો જતાં અનેક કંપનીઓના શેરના ભાવ અત્યંત નીચી સપાટીએ પહોંચી ગયાં છે. કોરોના વાયરસની અસર ઓછી થયા બાદ બજારમાં તેજીનો તોખાર જોવા મળશે. હાલ સમયમાં કરેલું રોકાણ પાછળના સમયમાં ફાયદાકારક સાબિત થઇ શકે તેમ છે.