Connect Gujarat
ગુજરાત

શંકરસિંહ વાઘેલાએ છંછેડ્યો વિવાદનો મધપૂડો, કહ્યું- BJP-RSSના વડા મુસ્લિમને બનાવીને બતાવો

શંકરસિંહ વાઘેલાએ છંછેડ્યો વિવાદનો મધપૂડો, કહ્યું- BJP-RSSના વડા મુસ્લિમને બનાવીને બતાવો
X

ગાંધીનગર ખાતે એક સ્નેહમિલન પણ ગોઠવ્યું છે,જેમાં રાજકીય દાવપેચની તૈયારીની સંભાવના વ્યકત થઈ રહી છે.

કોંગ્રેસ ઉપર વંશવાદના ભાજપ દ્વારા થઈ રહેલા આક્ષેપોના બળતા વિવાદમાં ઘી હોમતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ વંશવાદ તોડી મુસ્લિમને વડા બનાવવાનો પડકાર ફેંક્યો હતો.

શહેરમાં પત્રકાર પરિષદ સંબોધતા વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ગાંધી પરિવારની વાતો થતી હોય ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અને સંઘના નાગપુર ખાતેના રેશમબાગમાં વડા તરીકે ભાગવતને બદલે મુસ્લિમને વડા બનાવવાની વાત છેડી હતી. સંઘમાં લઘુમતી શાખા છે જ ત્યારે અંદરથી શા માટે મુસ્લિમ સભ્યને વડા બનાવાતા નથી એવો પ્રશ્ન કરી તેમણે નવા વિવાદનો મધપૂડો છંછેડયો હતો.

આ સાથે જ આવનારી લોકસભા ચૂંટણી પૂર્વે શરદ પવારના એન.સી.પી.માં જોડાવા કે, ચૂંટણી લડવા સંદર્ભે વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ તેઓ એન્ટિ-ભાજપ રહેશે અને તેના માટે કોંગ્રેસ સહિત કોઈની પણ સાથે છે. વાઘેલાએ હાલમાં વિવિધ રાજયોની વિધાનસભા અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એન.ડી.એ.નો રકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ચૂંટણી બાદ બધા વિપક્ષો એક થઈ જશે અને જે ચૂંટાશે તે બધા જ એન્ટિ-બીજેપીના હશે એ વાત નક્કી છે.

હાલના સમયમાં રાજયમાં ખેડૂતોની આત્મહત્યાના વધી રહેલા બનાવો સામે લાલબત્તી ધરતા તેમણે કહ્યું કે, ખેડૂતોનો ભડકો સરકારને ભારે પડશે. સરકારે ટેકાના ભાવની લોલીપોપ આપી હોવાનું જણાવતા તેમણે સરકારની એમ.એસ.પી. માટે કોઈ સ્પષ્ટ નીતિ નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ દેશમાં સહકારી ક્ષેત્રનું માળખું ગુજરાતમાં શ્રેષ્ઠ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, આ માળખાને બચાવવું જોઈએ અને પશુપાલકો માટે પણ ડેરીઓ દ્વારા ફેટના ભાવ ઘટાડાઈ રહ્યા છે ત્યારે સરકારે સબસિડી આપીને પશુપાલકોને પણ બચાવી લેવા જોઈએ.

આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણી બેલેટ પેપર અથવા તો પટ્ટી દ્વારા કરવાની પણ તેમણે માગણી કરી હતી અને તેના માટે કેન્દ્રીય ચૂંટણીપંચમાં રજૂઆત પણ કરી છે અને તેના માટે બાકી પક્ષોનો પણ સહકાર માગ્યો હતો. જયારે આગામી તા. ૨૪મીએ બાપુએ ગાંધીનગર ખાતે એક સ્નેહમિલન પણ ગોઠવ્યું છે, જેમાં રાજકીય દાવપેચની તૈયારીની સંભાવના વ્યકત થઈ રહી છે.

Next Story