Connect Gujarat
સ્પોર્ટ્સ

'રાંચીના રાજકુમાર' એવા ધોનીનો આજે જન્મ દિવસ, જાણો તેમના ક્રિકેટ કરિયરની એક ઝલક

રાંચીના રાજકુમાર અને આવા તો અનેક નામોથી ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઓળખવામાં આવે છે.

રાંચીના રાજકુમાર એવા ધોનીનો આજે જન્મ દિવસ, જાણો તેમના ક્રિકેટ કરિયરની એક ઝલક
X

રાંચીના રાજકુમાર અને આવા તો અનેક નામોથી ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઓળખવામાં આવે છે. ત્યારે આજે મહેન્દ્ર સિંહ ધોની તેમનો 41 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ખૂબ ઓછા સમયમાં ક્રિકેટમાં એક પછી એક અનેક રેકોર્ડ બનાવનારા માહીને તેના ચાહકો અભિનંદન આપી રહ્યા છે.

ક્યારેય પાછળ વળીને ન જોનારા માહીએ પોતાના જીવનમાં રમતની શરૂઆત સ્કૂલ ટીમ સાથે કરી હતી. ફુટબોલના ગોલકીપર મહેન્દ્ર સિંહ ધોની ક્યારે ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર બની ગયા આ તેના સ્કૂલ સમયના કોચ પણ જાણતા નથી. તેમને ઓળખનારા અને 1996થી લઈને 2004 સુથી તેમના કોચ રહેલા ચંચલ ભટ્ટાચાર્ય પણ ધોનીની બધી જ ખૂબીઓ વિશે જાણે છે. મેકૉન સ્થિત H-122 ક્વાટરમાં સૌથી પહેલા મહેન્દ્ર સિંહ ધોની તેમના પરિવાર સાથે રહેવા આવ્યા હતા. જો કે, આ ક્વાટરમાં તે લાંબો સમય રહ્યા નહોંતા તે થોડા સમયમાં જ E-25માં શિફ્ટ થઈ ગયા હતા અને આ જ ક્વાટરથી તેમના ક્રિકેટના સફરની શરૂઆત થઈ હતી. DAV શ્યામલી સ્કૂલ ગ્રાઉન્ડથી પ્રારંભ કરીને મેકૉન સ્ટેડિયમ, હરમૂ મેદાન અને ઝારખંડના તમામ મેદાનોમાં શેરીઓમાં રમી ચૂકેલા મહેન્દ્રસિંહ ધોનીએ 23 ડિસેમ્બર 2004 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

તેણે 2004માં બાંગ્લાદેશ સામે વનડે મેચ રમી હતી. T20માં તેઓએ 1 ડિસેમ્બર 2006ના રોજ ડેબ્યૂ કર્યું હતું. જેમ જેમ મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાં સફળ થતાં ગયા તેમ તેમ તેની કારકિર્દીનો ગ્રાફ પણ વધતો ગયો. પછી માહીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. સ્કૂલ સમયથી જ મહેન્દ્રસિંહ ધોનીનું લક્ષ્ય જીત પર રહેતું હતું. એક પછી એક ટૂર્નામેન્ટ અને મેચ જીતવી મહેન્દ્રસિંહ ધોનીનો ગોલ બની ગયો અને નસીબે પણ હંમેશા તેમનો સાથ આપ્યો. મહેન્દ્રસિંહ ધોનીને માનદ લેફ્ટનન્ટ કર્નલનો ખિતાબ પણ મળ્યો છે. પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પણ માહીને સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી સફળ વન ડે આંતરરાષ્ટ્રીય કેપ્ટન ધોની ભારતીય વન ડે ટીમના શાનદાર કેપ્ટન તરીકે ઓળખાય છે. મહેન્દ્રસિંહ ધોનીને બેડમિન્ટન અને ફૂટબોલમાં પણ રસ હતો. મહેન્દ્રસિંહ ધોનીએ DAV શ્યામલીથી અભ્યાસ કર્યો છે. જે હાલ જવાહર વિદ્યા મંદિર તરીકે ઓળખાય છે. માહીએ ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં બેડમિન્ટન અને ફૂટબોલમાં પણ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું.

આ કારણોસર તેઓ જિલ્લા અને ક્લબ કક્ષાએ પસંદગી પામ્યા હતા. ધોની પોતાની ફુટબોલ ટીમના ગોલકીપર પણ રહી ચૂક્યા છે, લોકલ ક્રિકેટ ક્લબમાં ક્રિકેટ રમવા માટે તેઓને તેમના ફુટબોલ કોચએ મોકલ્યા હતા. જો કે, તેઓ ક્યારેય ક્રિકેટ રમ્યા નહોંતા તો પણ ધોનીએ પોતાના વિકેટકીપિંગ કૌશલથી બધાને પ્રભાવિત કર્યા અને કમાન્ડો ક્રિકેટ ક્લબમાં 1994થી 1998માં રેગ્યુલર વિકેટકીપર બન્યા. 1997-98 સીઝનમાં વિનૂ માંકડ ટ્રોફી અંડર-16 ચેમ્પિયનશિપમાં પસંદગી પામ્યા જ્યાં તેઓએ ઉમદા પ્રદર્શન કર્યું હતું. 10માં ધોરણ બાદ જ ધોનીએ ક્રિકેટ તરફ વિશેષ ધ્યાન આપ્યું અને બાદમાં તેઓ શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે ઉભરીને બહાર આવ્યા.

વર્ષ 2003માં ધોનીએ ખડગપુર રેલવે સ્ટેશન પર ટ્રેનની ટિકિટ ચેકર તરીકે પણ કામ કર્યું હતું. ધોનીએ તેના પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 1998માં બિહારની અંડર -19 ટીમથી કરી હતી. 1999-2000માં ધોનીએ બિહાર રણજી ટીમમાં રમીને શરૂઆત કરી હતી. દેવધર ટ્રોફી, દિલીપ ટ્રોફી, ભારત એ ટૂરમાં ગયા. જ્યાં તેના પ્રદર્શનને કારણે તેના પર રાષ્ટ્રીય ટીમની પસંદગી સમિતિએ ધ્યાન આપ્યું. વર્ષ 2004માં ટીમની પસંદગી સમિતિની બેઠકમાં સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું હતું કે, ટીમમાં વિકેટકીપર કોને બનાવશે તો સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું એમ.એસ. ધોનીને વિકેટકીપર બનાવવા માંગુ છું. 2004માં ધોનીએ બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી લઈને આજ સુધી ધોની ક્રિકેટમાં લાંબી મજલ કાપી ચૂક્યા છે.

માહીના પરિવારમાં પિતા પાન સિંહ, માતા દેવકી દેવી સિવાય ધોનીને એક ભાઈ નરેન્દ્રસિંહ ધોની અને બહેન જયંતિ પણ છે. એમ.એસ. ધોનીની બહેન જયંતિ તેના ભાઈની ખૂબ નજીક છે. જયંતિ એક શિક્ષક છે, તે ઘણી વાર ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન સાક્ષી સાથે ચીયર કરતી પણ જોવા મળે છે. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીનો ભાઈ નરેન્દ્રસિંહ ધોની હાલમાં રાજકારણમાં ભાગ્ય અજમાવી રહ્યો છે. તેઓ પણ રાંચીમાં રહે છે.

Next Story