સુરત : ઓલપાડના કીમ ગામના ૭૪ વર્ષીય વૃધ્ધએ કોરોનાને આપી મ્હાત
કોરોના વાયરસની મહામારી વચ્ચે નવી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ઘણાં દર્દીઓને અન્ય બિમારી હોવા છતા પણ યોગ્ય સારવાર મળવાથી કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ દર્દી સુલપાલ સિંહ ઓક્સિજન સપોર્ટ પર હતાં, પરંતુ ડોકટરોના પરિશ્રમ અને સઘન સારવારે કોરોનામુક્ત થયા છે.
સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં પરિવાર સાથે રહેતા ૭૪ વર્ષીય સુલપાલ સિંહે જણાવ્યું કે, તા.૧૬ ઓગસ્ટે કોરોનાના લક્ષણો જણાતાં ફેમિલી ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. અન્ય કોઈ તકલીફ ન હોવાથી હું ઘરના એક રૂમમાં સેલ્ફ આઈસોલેટ થઈ ગયો હતો. ઘરના સભ્યો મારા સંપર્કમાં ના આવે એનું ખાસ ધ્યાન રાખ્યું હતું. ૧૬ ઓગસ્ટના રોજ સાંજે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, જેથી પરિવારજનોએ કોલ કરી ૧૦૮ દ્વારા મને સિવિલમાં દાખલ કર્યો હતો. જ્યાં મને ઓક્સિજન સપોર્ટ ઉપર રાખવામાં આવ્યો હતો. ૧૭ દિવસની સારવાર બાદ હું સંપૂર્ણ સ્વસ્થ થયો છું. જેનો સંપુર્ણ શ્રેય નવી સિવિલના મહેનતુ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને જાય છે. મને કોરોનામુક્ત કરવાં બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર માનું છું.તા.૧મી સપ્ટેમ્બરે સુલપાલ સિંહને રજા આપવામાં આવી હતી. સિવિલ આરોગ્ય પ્રશાસન અને રાજ્ય સરકારે કોરોના સામે અવિરત લડાઈ જારી રાખી છે. કોરોના યોદ્ધાઓ પણ રાજ્યને કોરોનામુક્ત બનાવવા મિશન મોડ પર કામ કરી રહ્યાં છે, ત્યારે રિકવરી રેટમાં મોટો સુધારો અને મોટી ઉમર ધરાવતા દર્દીઓ પણ કોરોનાને મ્હાત આપીને ઘરે હસીખુશીથી ઘરે પરત ગયા છે.