સુરત : મતદારોનો આભાર માનવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શહેરમાં રોડ-શો અને જાહેરસભા ગજવશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વરાછા ખાતે અલગ અલગ વિસ્તારમાં રોડ-શો યોજી જાહેર સભાને સંબોધિત કરવાનું આયોજન કરાયું છે.
સુરત મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 93 બેઠકો મેળવી હતી. જોકે કોંગ્રેસનો સફાયો થતાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવી છે, ત્યારે આવતી કાલે શુક્રવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સવારે 8 કલાકે સુરત એરપોર્ટ આવી પહોચી બાદમાં સર્કિટ હાઉસ ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજશે.
તો સાથે જ બપોરે 3 કલાકે વરાછા ખાતે મિનિબજાર-માનગઢ ચોકથી અરવિંદ કેજરીવાલ રોડ-શોમાં જોડાશે. વરાછા વિસ્તારના હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા અને સરથાણા જકાતનાકા સુધી રોડ-શો યોજી તક્ષશીલા કોમ્પ્લેક્ષ ખાતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર સભાને સંબોધી સુરતવાસીઓનો આભાર પણ માનવમાં આવશે.