સુરત : જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા
ગૃહમંત્રીના આગમન ટાણે જ કરીયાણાના વેપારી પાસેથી 4 હજાર રૂપિયાની લાંચ લેતા સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત 3 લોકોને એસીબીએ ઝડપી પાડ્યા છે. વેપારીનું વાહન નહિ રોકવા અને જમા નહિ કરવા માટે એ.એસ.આઈ.એ લાંચ માંગી હતી. જેમાં વેપારીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ત્રણેય લોકોને ઝડપી પાડ્યા હતા.
એક બાજુ સુરતમાં ગૃહમંત્રી, ડીજીપી સહિતના અધિકારીઓ સુરતના મહેમાન બન્યા હતા. તે વેળાએ જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વાત કઈક એમ છે કે, સુરતના ગામડાઓમાં છૂટક દુકાનવાળાઓને અનાજ સપ્લાય કરતા કરીયાણાના વેપારી પોતાની વાનમાં સામાન ભરીને આવજાવ કરતો હોવાથી વાહન ચેકિંગ બહાને જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. જયેશ પરસોત્તમ પટેલે વાહન ઉભું રખાવી ગાડી જમા નહિ કરવાના માટે રૂપિયા 12 હજારની લાંચ માંગી હતી. જેતે સમયે 8 હજાર રૂપિયા લઇ પણ લીધા હતા અને બાકીના 4 હજાર રૂપિયા બીજા દિવસે આપી જવા જણાવ્યું હતું. જોકે આ મામલે કરીયાણાના વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં એસીબીએ છટકું ગોઠવી અન્ય 4 હજાર રૂપિયાની લાંચ લેતા એ.એસ.આઈ. જયેશ પરસોત્તમ પટેલ, તેઓના હસ્તક લાંચ લેનાર ઈકરામ ઇબ્રાહિમ પટેલ અને ઈકબાલ મોહમદ પટેલને વરીયાવ નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. એસીબીએ ત્રણેય લોકોની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.