Connect Gujarat
Featured

સુરત : તક્ષશિલા કોમ્પલેકસની આગ તો ઠરી પણ મૃતકોના પરિવારના હૈયા હજી સળગે છે

સુરત :  તક્ષશિલા કોમ્પલેકસની આગ તો ઠરી પણ મૃતકોના પરિવારના હૈયા હજી સળગે છે
X

સુરતવાસીઓ 24મી મે 2019ના ગોઝારા દિવસને હજી ભુલી શકયાં નથી. તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના મોતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અનેક પરિવારોના વ્હાલસોયા સંતાનોને છીનવી લેનારી ઘટનાને આજે એક વર્ષ પુર્ણ થયું છે પણ મૃતકોના પરિવારો હજી ન્યાય માટે લડી રહયાં છે …….

તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી આગ તો બુઝાય ચુકી છે પણ આગમાં સંતાનો ગુમાવનારા પરિવારોના હૈયા હજી સળગી રહયાં છે. સરકારે કાર્યવાહીના નામે પગલાં તો ભર્યા પણ હજી જ પરિવારોને ન્યાય મળ્યો નથી. આગની ઘટનાને આજે એક વર્ષ પુર્ણ થયું છે પણ મૃતકોના પરિવારજનોના આંખોમાંથી સુકાતા નથી. પોતાના સંતાન ગુમાવી દેવાનું દુખ તેમની આંખોમાંથી અશ્રુ બની ટપકી રહયું છે. ન્યાય માટેની રજુઆત સરકાર કે તંત્રના બહેરા કાને સંભળાતી નહિ હોવાથી તેમણે આજે સંતાનો ના ફોટાની સાથે વિવિધ સ્લોગન લખી રોષ વ્યકત કર્યો હતો. અમે પણ તમને આ ફોટા અને સ્લોગન બતાવી રહયાં છે….

સુરતના તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી આગથી બચવા માટે ટેરેસ પર ચાલતાં ટયુશન કલાસમાંથી વિદ્યાર્થીઓ નીચે કુદી ગયાં હતાં. ટેરેસ પરથી નીચે કુદી ગયેલાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવી દીીધાં હતાં. આગની ઘટના બાદ રાજયભરમાં ફાયર સેફટી પર ભાર મુકવામાં આવ્યો હતો.

તક્ષશિલાની આગની ઘટના બાદ થયેલી તપાસમાં ગેરકાયદે બાંધકામ સહિતની અનેક ક્ષતિઓ બહાર આવી હતી. સરકારે બિલ્ડર, વીજ કંપનીના અધિકારીઓ, મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. એક વર્ષ થઇ ગયું હોવા છતાં આ કેસ હજી કોર્ટમાં ચાલી રહયો છે અને દોષીતોને સજા થઇ નથી.

સુરતના સરથાણામાં તક્ષિલા અગ્નિકાંડની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને જવાબદાર મનપાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને ટ્યુશન કલાસીસના સંચાલક સહીત ૧૪ લોકોની ધરપકડ કરી હતી અને તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આ ઘટના બાદ પણ માથાઓ બચી ગયાના આક્ષેપ સાથે વાલીઓએ પોલીસ કમિશ્નરને અરજીઓ કરી હતી રેલી યોજી હતી. અને આજે તે ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પણ સવાલ માત્ર એક જ છે કે ન્યાય ક્યારે ?

તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાજલિ આપવા માટે દીવાઓ પ્રગટાવવામાં આવ્યાં હતાં. આગમાં દાઝી ગયેલાં લોકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. 24મી મે 2019ના રોજ લોકો એક જ સવાલ પુછતા હતાં દોષીતો સામે કાર્યવાહી કયારે થશે. આજે 24મી મે 2020ના રોજ પણ આ સવાલ અનુત્તર રહયો છે.

Next Story