સુરત : હાથરસ ગેંગરેપ મામલે યુપીના CM યોગી આદિત્યનાથના પૂતળાનું દહન, NCPએ નોંધાવ્યો વિરોધ
ઉત્તરપ્રદેશના હાથસરમાં 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, ત્યારે ગેંગરેપ મામલે સુરતમાં NCP દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કસૂરવારોને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
હાથરસમાં બનેલી ગેંગરેપ ઘટનાને લઈને દેશભરમાં લોકો દ્વારા વિરોધ નોંધાવવવામાં આવી રહ્યો છે. હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. જેમાં આરોપીઓએ યુવતીની કમરનું હાડકું તોડી અને તેની જીભ પણ કાપી નાખી હતી, ત્યારે દિલ્હીમાં સારવાર દરમ્યાન પીડિતાનું મોત થયું હતું. જોકે પોલીસે મંગળવારે રાતે યુવતીના મૃતદેહને ગામમાં લાવીને અગ્નિ સંસ્કાર કરી દીધો હતો.
હાથરસ ગેંગરેપ ઘટનાના ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, પોલીસનો દાવો છે કે, દુષ્કર્મ નથી થયું. જ્યારે પીડિતાના પરિવારને ન્યાય અને કસૂરવારોને ફાંસીની સજા થાય તે માટે દેશભરના લોકોની માંગ ઉઠી છે. યુપી સરકારના વિરોધ સાથે સુરત શહેરના ઉધના દરવાજા ખાતે NCPના કાર્યકરોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પૂતળું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમ્યાન પોલીસે 20થી વધુ NCPના કાર્યકરોની અટકાયત કરી હતી.