સુરત : ભાજપના નેતાને ત્યાં ઇન્કમટેકસ વિભાગના દરોડા, જુઓ પછી નેતાએ શું કર્યું
સુરતમાં જવેલર્સમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ટવીટ કરનાર ઇન્કમટેકસના પુર્વ અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્માને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડયાં છે. આઇટી વિભાગની કાર્યવાહી બાદ રોષે ભરાયેલાં પીવીએસ શર્મા તેમના ઘરની બહાર જ ધરણા પર બેસી ગયાં હતાં.
સુરતમાં જ્વેલર્સમાં કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ કરી ટવીટ કરનાર સુરત ભાજપના નેતા પી.વી.એસ શર્માના ઘરે મોડી રાત્રે ઈન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડયાં છે. પીપલોદ સીટી જીમખાના સામે આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં તેઓ પોતાના જ ઘરની બહાર કોમ્પ્લેક્ષમાં ધરણા પર બેસી ગયા હતાં. આ અંગે પીવીએસ શર્માએ જણાવ્યું કે, બધું વ્યવહારિક છે તેઓ ચકાસણી કરી લે. તેઓને ચકાસણી કરવાનો બિલકુલ અધિકાર છે પરંતુ મૌલિક અધિકારોનું હનન કરીને ન કરી શકાય. હું પુરાવા રજુ કરું તે પહેલા આ રેડ પાડવામાં આવી છે જેથી પુરાવાઓને નાશ કરવાનો અથવા તેને લઈ જવાનો આશય છે.
કલા મંદિરના માલિક મિલન શાહએ કૌભાંડ અંગેના આક્ષેપને ખોટા ગણાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી બહુચર્ચિત પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ અધૂરી માહિતી આપી અને વડાપ્રધાન સહિત મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. આરઓસી પર અમારી તમામ માહિતી છે. હું કોઈ આંકડા સામે રજૂ કરી શકીશ નહીં. ગુપ્ત કાગળો ક્યાંથી મેળવ્યા ત્યાંથી જ ખરાબ કારસ્તાનનો દાખલો સામે આવ્યો છે. કલામંદિરમાં હમણાં સુધી કોઈ વિવાદ થયો નથી કે કોઈ ઇન્કવાયરી પેન્ડિંગ નથી. છેલ્લા પાંચ વર્ષમાં 35 કરોડ ટેક્સ ભર્યો છે.