ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના કોંડાઈભારી ઘાટ નજીક સુરતની લક્ઝરી બસ પુલ પરથી નીચે ખાબકી, 4 લોકોના મોત
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક સુરતની ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પુલ પરથી નીચે ખાબકતા 4 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ મુસાફરોને ઈજા પહોચી હતી.
મળતી માહિતી અનુસાર, નવાપુર-ધુલે-સુરત રાષ્ટ્રીય નેશનલ હાઇવે નં. 6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી ગત મોડીરાત્રે 2 વાગ્યે સુરતની સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ 40 ફૂટ ઊંડી ખાડીમાં ખાબકી હતી. સુભમ ટ્રાવેલ્સની બસમાં લગભગ 40 મુસાફરો હતા. જોકે ગંભીર અકસ્માત સર્જાતા 4 મુસાફરોનું મોત નીપજ્યું હતું, જ્યારે 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે અકસ્માતમાં સૌથી વધુ સુરત અને જલગાવના મુસાફરો ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત રાત્રિના 2થી 2.30 વાગ્યાની વચ્ચે થયો હોવાથી મુસાફરો સૂતા હતા, જેથી ઘાયલોની સંખ્યા વધુ હોય શકે તેમ વર્તાઇ રહ્યું છે. અકસ્માત બાદ ઘણા મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. જેમને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાને કારણે વિસરાવાડી, નવાપુર, ખાંડબારા, નંદુરબાર, પિંપલનેર અને દાહિવેલથી 108 એમ્બ્યુલન્સ મંગાવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.