સુરત : મહિધરપુરામાં હીરાના વેપારીઓએ દુકાનો ખોલી, જુઓ પછી કેમ કરવી પડી બંધ
સુરતમાં એક તરફ કોરોના વાયરસના દર્દીઓ વધી રહયાં છે તો બીજી તરફ વેપાર અને ધંધાને પણ ધમધમતાં કરવાની પણ કવાયત ચાલી રહી છે. કલસ્ટર ઝોન તરીકે જાહેર કરાયેલાં મહીધરપુરામાં કેટલાક હીરાના વેપારીઓએ ઓફિસો ખોલતાં તંત્રએ તેને બંધ કરાવી દીધી હતી.
સુરતના મહિધરપુરામાં આવેલાં હીરા બજાર વિસ્તારને એક અઠવાડિયા માટે ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું હોવા છતાં આજે સવારે કેટલીક ઓફિસો ખુલી ગઈ હતી. જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને એસ.એમ.સી.ની ટીમ પહોંચી ગઈ હતી અને એનાઉન્સમેન્ટ કરીને ઓફિસો બંધ કરાવી હતી. કોરોનાના કેસો વધવાને કારણે અને સોશિ્યલ ડિસ્ટન્સીગનો અમલ નહીં થતો હોવાથી વહીવટી તંત્ર દ્વારા હીરા બજાર વિસ્તારને એક અઠવાડિયા માટે ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું છે અને હીરાબજારને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જો કે તેમ છતાં આજે સવારે હીરા બજાર મેઇન રોડ વિસ્તારની જુદી- જુદી શેરીઓમાં આવેલા કોમ્પલેક્ષની ઓફિસો ખોલવામાં આવી હતી.અને સેઇફ વોલ્ટ પણ ચાલુ થઈ ગયાં હતાં. જેની જાણ તંત્રને થતા મનપાની ટીમ અને પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઓફીસ અને કારખાના બંધ કરાવવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે અનલોક- ૧ બાદ સૌથી વધુ રત્નકલાકારો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે જેને લઈને તંત્રએ હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે લોકો પણ આ મામલે તકેદારી રાખે તે જરૂરી બન્યું છે.