સુરત : નકલી કિન્નરો સામે હવે પોલીસ કરશે કાર્યવાહી
સુરતમાં નકલી કિન્નરોના હુમલામાં રાજસ્થાની યુવાનના મોત બાદ પોલીસે હવે નકલી કિન્નરો સામે કાર્યવાહીનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં રહેતાં અસલી કિન્નરોની યાદી તૈયાર કરવા તમામ પોલીસ સ્ટેશનોમાં આદેશ કરી દેવાયાં છે.
સુરત ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા ગહેરીલાલના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને કિન્નરો તેમના ઘરે ડાપુ લેવા પહોંચી ગયા હતાં. ડાપાની રકમ બાબતે ઝગડો થતાં કિન્નરોએ ઉશ્કેરાઇ જઇને ગહેરીલાલનું માથુ દિવાલ સાથે અથાડી દીધું હતું. તેમનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારનો માળો પીંખાય ગયો હતો. યુવકના મોત બાદ કિન્નરો સામે શહેરમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશ્નરે નકલી કિન્નરોને શોધી કાઢવા આદેશ કર્યો છે. નકલી કિન્નરો અને અસામાજીક તત્વોની સાંઠગાંઠની આશંકા હોવાતી સુરતમાં રહેતા કિન્નરોની માહિતી એકત્ર કરાશે તમામ પોલીસ મથકોને કિન્નરોની માહિતી એકત્ર કરવા પણ આદેશ કરાયો છે.